Anil Kumble ની Punjab Kings સાથેની સફર પૂર્ણ થશે, PBKS એ નવા કોચ માટે વિશ્વ ચેમ્પિયન પર દોડાવી નજર
પંજાબ કિંગ્સ (Punjab Kings) અને અનિલ કુંબલે (Anil Kumble) વચ્ચે 2019માં કરાર થયો હતો, જે ત્રણ વર્ષ સુધી ચાલવાનો હતો. જો કે આ દરમિયાન ટીમ એક વખત પણ પ્લેઓફમાં પહોંચી શકી નથી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની સિઝન સમાપ્ત થયાને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને નવી સિઝન શરૂ થવામાં લગભગ 8 મહિના બાકી છે. આમ છતાં IPL અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર લીગને લઈને હલચલ મચી ગઈ છે અને આ વખતે મામલો કોચિંગ સાથે જોડાયેલો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા નવા કોચની નિમણૂકની જાહેરાત બાદ અન્ય ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફારના અહેવાલ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબ કિંગ્સ (Punjab Kings) કોચ અનિલ કુંબલે (Anil Kumble) સાથે તેની સફર સમાપ્ત કરી રહી છે.
કુંબલેના કરારમાં વધારો નહીં થાય
એક મીડિયાઅહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિગ્ગજ ભારતીય લેગ-સ્પિનર અનિલ કુંબલે અને પંજાબ કિંગ્સ વચ્ચેનો ત્રણ વર્ષનો કરાર સમાપ્ત થઈ રહ્યો છે અને ફ્રેન્ચાઇઝી તેને લંબાવવા માટે ઉત્સુક નથી. પંજાબ અને કુંબલે વચ્ચે 2019માં ડીલ થઈ હતી, પરંતુ ટીમ ફરી એકવાર પ્લેઓફમાં પહોંચવામાં સફળ થઈ શકી ન હતી. હાલમાં જ IPL 2022 સીઝનમાં ટીમને મોટી દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ઘણા મહાન ખેલાડીઓની હાજરી છતાં ટીમને સફળતા મળી ન હતી.
વર્લ્ડ ચેમ્પિયન જોડી, ભૂતપૂર્વ ભારતીય કોચ પર નજર
આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી કુંબલેની સાથે પ્રવાસ ખતમ કરવાના મૂડમાં છે. રિપોર્ટ અનુસાર ટીમે નવા કોચની શોધ પણ શરૂ કરી દીધી છે. ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ વિજેતા જોડી પણ સંભવિત ઉમેદવારોમાં સામેલ છે જેમના નામ મુખ્ય કોચના પદ માટે અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે પંજાબે ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન અને તે સમય દરમિયાન ટીમના કોચ રહેલા ઓસ્ટ્રેલિયાના ટ્રેવર બેલિસને કોચ બનાવવા માટે સંપર્ક કર્યો છે.
આ બંને સિવાય એક પૂર્વ ભારતીય કોચ સામે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી પૂર્વ ભારતીય કોચના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ફ્રેન્ચાઇઝી આગામી એક સપ્તાહમાં નવા કોચ અંગે કોઇ નિર્ણય લઇ શકે છે.
મોર્ગન અને બેલિસનુ આઈપીએલ કનેક્શન
લેજન્ડરી ડાબોડી બેટ્સમેન મોર્ગને આ વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આઈપીએલમાં, તે ગયા વર્ષ સુધી એટલે કે આઈપીએલ 2021 સીઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો, જ્યાં તેની કપ્તાની હેઠળ ટીમ તે સીઝનની ફાઈનલમાં ગઈ હતી. જોકે, IPL 2022 માં તેને કોઈ ટીમે ખરીદ્યો ન હતો. મોર્ગન પાસે હજુ સુધી કોચિંગનો અનુભવ નથી. બીજી તરફ ટ્રેવર બેલિસ આ પહેલા પણ આઈપીએલમાં કોચિંગ કરી ચુક્યા છે. 2015માં ઈંગ્લેન્ડના કોચ બનતા પહેલા તે બે સીઝન માટે KKR નો કોચ હતો, જ્યારે 2020 અને 2021 સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો કોચ હતો.