IPL 2022: આ તારીખથી શરુ થશે આઇપીએલ ટૂર્નામેન્ટ, 10 ટીમો વચ્ચે 74 મેચ રમાડવાનુ આયોજન, જૂનમાં રમાશે ફાઇનલ!
આઇપીએલ 2022 (IPL 2022) ની સિઝન ભારતમાં જ રમાશે, આ અંગે BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) આ પહેલા જ ચેન્નાઇમાં કરી ચુક્યા છે.
હાલમાં ભારતીય ક્રિકેટ ચાહકોમાં ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ સામેની ઘર આંગણાની સિરીઝનો રોમાંચ છે. પહેલા T20 સિરીઝમાં વ્હાઇટ વોશ કર્યા બાદ હવે ટેસ્ટ સિરીઝમાં પણ આવી જ અપેક્ષા છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે વધુ એક ખુશખબર મળી રહી છે. જે પ્રમાણેની જાણકારી મળી રહી છે એ મુજબ એપ્રિલ માસની શરુઆત સાથે જ IPL 2022 ની શરુઆત થશે. સંભવિત તારીખ 2જી એપ્રિલ બતાવવામા આવી રહી છે. જે દિવસથી ટૂર્નામેન્ટની શરુઆત ઘરઆંગણે જ થઇ શકે છે. જ્યારે ફાઇનલ મેચ જૂનના પ્રથમ સપ્તાહમાં એટલે કે, 4 અથવા 5 જૂને રમાઇ શકે છે.
ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) માં આગામી સિઝનમાં 8ને બદલે 10 ટીમો હિસ્સો લેનારી છે. આમ હવે મેચોની સંખ્યા વધીને 74 થઇ શકે છે. એટલે કે આઇપીએલ ટૂર્નામેન્ટ બે મહિના સુધી રમાશે. 10 ટીમો વર્તમાન લીગ તબક્કાની મેચ સંખ્યાને ધ્યાને રાખીને રમે છે તો, 74 મેચ રમાઇ શકે છે. જે પ્રમાણે 7 મેચ હોમ ગ્રાઉન્ડ અને 7 મેચ અન્ય ટીમોના ગ્રાઉન્ડ પર રમાઇ શકે છે. સંભવિત તારીખોને લઇ મીડિયા અહેવાલ મુજબ BCCI સુત્રોએ કહ્યુ હતુ કે, આગામી સિઝન 60 દીવસ કરતા વધુની હશે.
જોકે આ પહેલા IPL 2022 ને લઇ મેગા ઓક્શન BCCI દ્વારા યોજવામાં આવશે. નવી ઉમેરાયેલી બે ટીમો પણ પોતાના ખેલાડીઓ અને કેપ્ટન પણ આ સાથે નક્કિ કરી લેશે. આમ આગામી સિઝનમાં ટીમોમાં ગણો બધો બદલાવ પણ જોવા મળશે. સાથે જ આ વખતની ટૂર્નામેન્ટ બે મહિના કે તેથી વધુ લાંબી હોઇ શકે છે. કારણ કે ફાઇનલ મેચ જૂન માસના પ્રથમ સપ્તાહમાં રમાશે તેવી સંભાવના છે.
ગત સિઝનમાં ચેન્નાઇ ચેમ્પિયન બન્યુ હતુ
આઇપીએલ 2021ની સિઝનને ચેન્નાઇ સુપર કિંગ્સે (CSK) જીતી લીધી હતી. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશિપમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ટાઇટલ જીત્યુ હતુ. ફાઇનલ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે દુબઇમાં રમાઇ હતી. આમ હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાને લઇને 2022માં ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ સામે રમાઇ શકે છે.
ભારતમાં રમાશે IPL 2022
જય શાહે (Jay Shah) ચેન્નાઇમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન આગામી સિઝન એટલે કે આઇપીએલ 2022 ભારતમાં જ આયોજીત કરાશે એમ કહ્યુ હતુ. બીસીસીઆઇ ના સેક્રેટરી શાહે સાથે એ પણ કહ્યુ હતુ કે, બે નવી ટીમો ઉમેરાતા 10 ટીમો સાથેની ટૂર્નામેન્ટનો રોમાંચ વધુ વધી જશે. આઇપીએલ 2021 દરમ્યાન ભારતમાં કોરોનાની બીજી લહેરે મુશ્કેલી સર્જતા ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવી પડી હતી. ત્યાર બાદ આઇપીએલને ભારતની બહાર ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. આમ આઇપીએલ 2021ને યુએઇમાં રમાડવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.