IPL 2022: હજુય લાંબી રાહ જોવી પડશે Mega Auction માટે! નવી ફેન્ચાઇઝી ‘અમદાવાદ’ આ માટે છે કારણભૂત
BCCI એ આ વર્ષે IPL માં બે નવી ફ્રેન્ચાઈઝીનો ઉમેરો કર્યો છે, જેના કારણે IPL 2022ની સીઝન પહેલા એક મોટી હરાજીનું આયોજન કરવામાં આવનાર છે, પરંતુ હાલમાં તેમાં વિલંબ થઈ રહ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સીઝન ખૂબ જ ખાસ બનવાની છે. આ સિઝનમાં ટુર્નામેન્ટમાં ટીમોની સંખ્યા 8 થી વધીને 10 થવાની છે. આ કારણે ટૂર્નામેન્ટ પહેલા મોટી હરાજીનું આયોજન કરવું પડશે. આ હરાજીમાં, તમામ ફ્રેન્ચાઇઝીઓએ તેમની સંબંધિત ટીમોને ફરીથી ગોઠવવાની રહેશે. એટલે કે ઘણા ખેલાડીઓ પોતાની જૂની ટીમો સામે રમતા જોવા મળશે. સ્વાભાવિક છે કે આના કારણે ઉત્સુકતા પણ વધારે છે.
પરંતુ નવી ટીમોનું ચિત્ર કેવી રીતે હશે તે અંગેની ઉત્સુકતાનો અંત આવતા ઘણો સમય લાગી શકે છે કારણ કે BCCI આવી સમસ્યામાં અટવાઈ ગઈ છે, જેના કારણે તે મેગા ઓક્શનની તારીખ જાહેર કરી શકી નથી અને તેના કારણે ઈવેન્ટ મુલતવી રાખવામાં આવ્યું છે. તેમાં વિલંબ થઈ રહ્યો છે.
BCCI એ આ વર્ષે ઓક્ટોબરમાં લીગમાં બે નવી ફ્રેન્ચાઈઝીની હરાજી કરી હતી, જેમાં લીગમાં ટીમોની સંખ્યા 10 થઈ ગઈ હતી. આમાંથી એક ફ્રેન્ચાઈઝી લખનૌ અને બીજી અમદાવાદને આપવામાં આવી હતી. બીસીસીઆઈને આ બંને ફ્રેન્ચાઈઝીની હરાજીથી સાડા 12 હજાર કરોડથી વધુની કમાણી થવાની છે. પરંતુ આ હરાજી તેના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે, જેના કારણે મેગા ઓક્શનની જાહેરાતમાં અવરોધ આવી રહ્યો છે.
સમસ્યા અમદાવાદ ફ્રેન્ચાઈઝીના ખરીદનાર CVC કેપિટલની છે, જેની વિદેશી સટ્ટાબાજીની કંપનીઓ સાથેની સાંઠગાંઠ પર સવાલ ઉઠ્યા છે.
સમિતિના નિર્ણય સુધી હરાજી જાહેર નહીં
મીડિયા રિપોર્ટ અનુસાર બોર્ડ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં જ હરાજીનું આયોજન કરવા ઈચ્છતું હતું, પરંતુ CVC કેપિટલના ઈશ્યુએ તેના પર રોક લગાવી દીધી છે. બોર્ડે આ મુદ્દે સ્પષ્ટતા માટે એક સમિતિની રચના કરી છે અને તેના અહેવાલની રાહ જોવાઈ રહી છે.
બીસીસીઆઈના એક અધિકારીએ પોર્ટમાં જણાવ્યું હતું કે, અમે હજુ પણ સીવીસી કેપિટલ દ્વારા અમદાવાદ ફ્રેન્ચાઈઝીની માલિકી અંગે વિશેષ સમિતિના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી હરાજીની તારીખ નક્કી કરી શકાય નહીં.
બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું કે જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહ પહેલા હરાજી થવાની કોઈ શક્યતા નથી. અધિકારીના જણાવ્યા અનુસાર, અમે લખનૌ અને અમદાવાદની ફ્રેન્ચાઈઝીને હરાજી પહેલા 3-3 ખેલાડીઓને સાઈન કરવા માટે પણ સમય આપવો પડશે. જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહ પહેલા હરાજી થાય તેવું લાગતું નથી.
બીસીસીઆઈએ પ્લાન બદલવો પડ્યો
IPLની વર્તમાન 8 ફ્રેન્ચાઈઝીએ 30 નવેમ્બરના રોજ પોતપોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. પ્રારંભિક યોજના હેઠળ, 25 ડિસેમ્બર સુધી, લખનૌ અને અમદાવાદ ફ્રેન્ચાઇઝીને રિલીઝ કરાયેલા ખેલાડીઓમાંથી 3-3 ખેલાડીઓને સાઇન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ હરાજી યોજાવાની હતી. દરમિયાન, CVC કેપિટલ અટવાઇ જવાના મુદ્દાને કારણે, બોર્ડે લખનૌ ફ્રેન્ચાઇઝીને કોઈપણ નવા ખેલાડીને સાઇન કરવાથી રોકી દીધી હતી.