શ્રીલંકા (Sri Lanka Cricket) સામે ત્રણ મેચની ટી20 સીરિઝની બીજી મેચમાં જ્યારે ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) ધર્મશાળાના મેદાન પર ઉતરસે ત્યારે તે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત શર્માએ પહેલી મેચમાં 44 રનની ઇનિંગ રમી હતી અને ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. હવે બીજી મેચમાં તેના નિશાના પર વિરાટ કોહલી (Virat Kohli) અને કેન વિલિયમસન અને ઇયોન મોર્ગનનો રેકોર્ડ છે.
તમને જણાવી દઇએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ ત્રણ મેચની ટી20 સીરિઝ ચાલી રહી છે. જેમાં પહેલી મેચમાં ભારતે 62 રને જીત મેળવી છે. ત્યારે બીજી અને ત્રીજી ટી20 મેચ અનુક્રમે 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ધર્મશાળા મેદાન પર રમાશે. ત્યારબાદ બે મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ મોહાલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ બેંગ્લોર ખાતે રમાશે.
રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી 292 ચોગ્ગા ફટકાર્યા છે. તો બીજી તરફ પુર્વ સુકાની વિરાટ કોહલીએ અત્યાર સુધી 298 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા જો બીજી મેચમાં 7 ચોગ્ગા ફટકારે છે તો તે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે. તો તે વધુ 8 ચોગ્ગા ફટકારશે તો તે ભારત તરફથી ટી20 ક્રિકેટમાં 300 ચોગ્ગા પુરો કરનાર પહેલો બેટ્સમેન બની જશે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 ચોગ્ગા પુરા કરનાર વિશ્વનો પહેલો બેટ્સમેન આયરલેન્ડના પાલ સ્ટારલિંગ છે. તેણે અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં 319 ચોગ્ગા ફટકાર્યા છે.
તેને બાદ કરતા રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ અત્યાર સુધી પોતાની ધરતી પર કુલ 15 મેચ જીતી છે. ભારતે તેની કેપ્ટનશિપમાં ધર આંગણાના મેદાન પર કુલ 16 મેચ રમી છે. જેમાં આ ટીમને 15 મેચમાં જીત મળી છે. જો રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ આગળની મેચમાં એટલે કે શ્રીલંકા સામે જીતે છે તો તે એક સાથે ન્યુઝીલેન્ડના સુકાની કેન વિલિયમસન અને ઇંગ્લેન્ડ ટીમના સુકાની ઇયોન મોર્ગનનો રેકોર્ડ તોડી દેશે.
કેન વિલિયમસન અને ઇયોન મોર્ગને પોતાની ધરતી પર અત્યાર સુધી 15-15 ટી20 મેચ જીતી છે. હવે રોહિત શર્મા આ મેચમાં જીત મેળવી લે છે તો તે કેન વિલિયમસન અને ઇયોન મોર્ગનથી આગળ નીકળી જશે.
આ પણ વાંચો : Ranji Trophy 2022: તમિલનાડુના જુડવા ભાઈએ એક જ મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો
આ પણ વાંચો : INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર