IND vs SA: વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સમાં નહી આવવાની વાત તેના બાળપણના કોચને પસંદ નથી આવી, કહ્યુ-‘કંઇક તો બન્યુ છે’
અત્યાર સુધી ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર બે ટેસ્ટ મેચ રમી છે અને વિરાટ કોહલી (Virat Kohli) એ બંને મેચોમાં પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો નથી.
ભારતીય ટેસ્ટ ટીમના સુકાની વિરાટ કોહલી (Virat Kohli) સાઉથ આફ્રિકા (South Africa) ના પ્રવાસે ગયા બાદથી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યો નથી. કોઈપણ ટેસ્ટ મેચ પહેલા કોહલી ઘણીવાર મીડિયાને સંબોધવા આવતો હતો અને તે મેચની વચ્ચે ઘણી વખત પત્રકારો સાથે વાતચીત કરતો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં આવું જોવા મળ્યું નથી.
બંને ટેસ્ટ મેચ પહેલા કોહલીના બદલે હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) બંને મેચ પહેલા મીડિયાની સામે આવ્યા હતા. તેના બાળપણના કોચ રાજકુમાર શર્મા (Rajkumar Sharma) ને પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીની ગેરહાજરી પસંદ નથી. તેમને આ ખૂબ જ વિચિત્ર લાગે છે.
દક્ષિણ આફ્રિકા જતા પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ આપેલા નિવેદન બાદ ભારતીય ક્રિકેટમાં ભૂકંપ આવી ગયો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની એ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી જેમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે T20 ટીમની કેપ્ટન્સી છોડતા પહેલા કોહલીને રોકવામાં આવ્યો હતો.
કારણ સમજાતું નથી
રાજકુમારે કહ્યું છે કે કોહલીના પ્રેસ કોન્ફરન્સમાં ન આવવાનું કારણ તેઓ સમજી શકતા નથી. સ્પોર્ટ્સ પોલિસી પર વાત કરતા તેમણે કહ્યું, મને આનું કારણ સમજાતું નથી. મને લાગે છે કે મીડિયા સાથે કોણ વાત કરશે તે અંગે BCCIએ કદાચ નવા નિયમો બનાવ્યા છે અથવા તો મીડિયા મેનેજરને વધુ સત્તા આપવામાં આવી છે અને તે નક્કી કરે છે કે કેપ્ટન જશે કે નહીં.
તેણે કહ્યું, કપ્તાનને મેચ પહેલા અને પછી બંનેમાં જોવા ન મળવાનું કોઈ કારણ હશે. અચાનક આ નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો, અથવા ફેરફાર કરવામાં આવ્યો અથવા તે બાય-ચાન્સ છે તે કહેવું મુશ્કેલ છે.
કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ કોહલીને પ્રેસ કોન્ફરન્સથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે, તો શર્માએ કહ્યું, જો તે માત્ર વિરાટ કોહલીની વાત હોત તો કેએલ રાહુલ (KL Rahul) બીજી મેચમાં આવ્યો હોત. પરંતુ રાહુલ પણ આવ્યો ન હતો. આનો મતલબ એવો થાય છે કે અમુક નિર્ણય લેવામાં આવ્યો છે જેના હેઠળ કેપ્ટનની જગ્યાએ કોચ વાત કરશે.
આગળ કહ્યુ, જો કોચ આવે તો પણ મને તેમાં કંઈ ખોટું લાગતું નથી. મીડિયા મેનેજર પોતાની મેળે આટલો મોટો નિર્ણય લઈ શકતા નથી. પરંતુ આ આશ્ચર્યજનક છે કારણ કે પહેલા કેપ્ટન આવતા હતા પરંતુ હવે એવું નથી થઈ રહ્યું. જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કોહલી રમ્યો ન હતો અને કેએલ રાહુલે ટીમનું સુકાન સંભાળ્યું હતું.
રાહુલ દ્રવિડે આ વાત કહી
ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને બીજી મેચ પહેલા કોહલીના પ્રેસ કોન્ફરન્સમાં હાજરી ન આપવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. રાહુલે તે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોહલી તેની 100મી ટેસ્ટ મેચમાં મીડિયાને સંબોધિત કરશે.
રાહુલે કહ્યું હતું કે, એવું કંઈ નથી. તે મીડિયા સાથે વાત કરશે. મને મીડિયા ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોહલીને તેની 100મી ટેસ્ટ મેચ માટે રાખવામાં આવ્યો છે. તે પછી તે તમારી સામે આવશે અને પછી તમે તેને પ્રશ્નો પૂછી શકશો.