IND vs SA: રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સહિત આ 4 સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત, દક્ષિણ આફ્રિકા જવુ મુશ્કેલ!
ટીમ ઈન્ડિયા (Team India) ના ઓછામાં ઓછા ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને તેમને સાજા થવામાં સમય લાગશે. જેના કારણે આ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ પર જઈ શકશે નહીં.
ભારતે હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (India Tour Of South Africa) જવાનું છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત થવાની છે. પરંતુ ઘણા ખેલાડીઓની ઈજાના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. અહેવાલ છે કે ઓછામાં ઓછા ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે. જેના કારણે આ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જઈ શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), અક્ષર પટેલ (Axar Patel) અને શુભમન ગિલ (Shubman Gill) નો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ ચારેય ખેલાડીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં થોડાક મહિના લાગી શકે છે. રવિન્દ્ર જાડેજા અને ઈશાંત ઈજાના કારણે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ રમી શક્યા ન હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાડેજાને લિગામેન્ટ ટિયર થઇ જવાથી પીડાઈ રહ્યો છે. બીજી તરફ ઈશાંતની આંગળી ડિસલોકેટ થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયા માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ઈશાંત કરતાં રવિન્દ્ર જાડેજાની ઈજાના વધુ ખરાબ સમાચાર છે. ટીમ ઈન્ડિયા પાસે ઈશાંતના વિકલ્પ તરીકે ખેલાડીઓ છે, પરંતુ જાડેજાના વિકલ્પનો અભાવ છે. કારણ કે ડાબોડી સ્પિનર અને બેટ્સમેન અક્ષર પટેલ પણ ફિટ નથી. તે સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. આ કારણે હવે પસંદગીકારો સમક્ષ સમસ્યા એ છે કે આ બંનેના વિકલ્પ તરીકે કોઈ નથી. આર અશ્વિન દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતનો મુખ્ય સ્પિનર હશે. જો કે ત્યાં બે સ્પિનરોની જગ્યા નથી, પરંતુ જાડેજા અને અક્ષર બેટ સાથે પણ સારું યોગદાન આપે છે.
જાડેજા-અક્ષરનું સ્થાન કોણ લેશે?
રિપોર્ટ મુજબ જાડેજાના લિગામેન્ટ ટિયર થવાથી સાજા થતા થોડાક મહિનાઓ લાગશે. જો તેની સર્જરી થશે તો તે આઈપીએલની આસપાસ જ સાજો થઈ શકશે. અક્ષર પટેલ વિશે વાત કરીએ તો, તેનો પ્રારંભિક તપાસ રિપોર્ટ સાજા થવામાં ઓછામાં ઓછા છ અઠવાડિયા (દોઢ મહિના)નો સમય લાગશે. પસંદગીકારો મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા પછી જ દક્ષિણ આફ્રિકા જવાનો નિર્ણય લેશે.
એવું માનવામાં આવે છે કે જો પટેલ અને જાડેજા બંને ઉપલબ્ધ ન હોય તો શાહબાઝ નદીમ અને સૌરભ કુમારને પસંદ કરી શકાય છે. સૌરભ કુમાર હાલમાં ભારત A ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.
ગિલને પગમાં ઈજાની સમસ્યા
એવું માનવામાં આવે છે કે પસંદગીકારો શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા મોકલવા અંગે પણ મક્કમ નથી. ગિલના પગની ઈજા ફરી સામે આવી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. જે બાદ પ્રવાસને પડતો મૂકવો પડ્યો હતો. આ સિવાય મુંબઈ ટેસ્ટમાં તેના ડાબા હાથને પણ ઈજા થઈ હતી. તે પછી તેણે મેદાન માર્યું ન હતું. ઈશાંત શર્માની વાત કરીએ તો તેની આંગળીમાં ઈજા થઈ છે. સાથે બગલમાં ખેંચાણ છે. આ કારણે, તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે.