પાકિસ્તાન ક્રિકેટમાં જેટલુ 7 વર્ષમાં કમાય છે એટલો વકરો માત્ર IND vs PAKની એક મેચમાં થઈ જાય છે, જો ભારત સામેની મેચ નથી રમતુ તો…
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક મેચ ICC ટુર્નામેન્ટની સૌથી મોટી કમાણી કરાવતી મેચ હોય છે. જેની કિંમત 250 મિલિયન સુધી પહોંચી જાય છે. પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણયથી ICC, બ્રૉડકાસ્ટર્સ અને PCB ને ભારે મોટુ આર્થિક નુકસાન થઈ શકે છે.

T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત સાથે રમવાની ના પાડી છે. બંને દેશ વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ગૃપ સ્ટેજ મેચ થવાની હતી. પાકિસ્તાન સરકારે ભારત સામે મેચ રમવા માટે વર્લ્ડ કપની મેચ શરૂ થવાના 5 દિવસ પહેલા જ ના પાડતા ICC લાલઘુમ થયુ છે. પાકિસ્તાન બોર્ડના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં પણ હલચલ મચાવી દીધી છે. આવુ એટલા માટે છે કારણ કે પાકિસ્તાનના આ પગલાથી ICC ને ભારે આર્થિક નુકસાન થશે.
ICC ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મેચ દ્વારા 250 મિલિયન ડૉલર (2200 કરોડ રૂપિયાથી વધુ)ની રેવન્યુ જનરેટ કરે છે. કેટલાક અહેવાલ તો આ રેવન્યુને 3 હજાર કરોડથી પણ વધુ આંકે છે. એવામાં જો હવે આ બંને દેશ વચ્ચે મેચ નથી રમાતી તો તમામ પાર્ટનર્સ તેમજ હિસ્સેદારોને મોટુ આર્થિક નુકસાન ભોગવવુ પડે.
પાકિસ્તાનની વર્ષની કમાણી પરથી આ ગણિત સમજીએ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તે $35-45 મિલિયન ડૉલર એટલે કે 300 થી 400 કરોડ રૂપિયાની આસપાસ છે. જેમા ICC દ્વારા પાકિસ્તાનને મળનારી રેવન્યૂ, PSL ની કમાણી, સીરિઝ અને ટિકિટની કિંમતથી લઈને સ્પોન્સરશિપથી મળનારી આવકનો સમાવેશ થાય છે. જો કે PCB ની આવકનો મુખ્ય સ્ત્રોત ICC દ્વારા મળનારો રેવન્યુ શેર છે. જે તેની કૂલ કમાણીના 80 ટકાથી વધુ હોવાનું કહેવાય છે.
ભારત પાકિસ્તાન મેચ દ્વારા થતી આવક
હવે જો ભારત-પાકિસ્તાનની એક ICC મેચની કમાણીની વાત કરીએ તો 2200 કરોડ રૂપિયાથી વધુ કરી છે. કેટલીકવાર તેને 3 હજાર કરોડથી પણ વધુ આંકવામાં આવી છે. એટલે એ તો સ્પષ્ટ છે કે પાકિસ્તાન 7 વર્ષમાં જેટલી કમાણી કરે છે એટલી રેવન્યુ ભારત-પાકિસ્તાનની એક મેચમાંથી જ મળી જાય છે.
એ વાત પણ કોઈનાથી છીપી નથી કે ICC ની કમાણીનુ સૌથી મોટુ માધ્યમ ભારત-પાકિસ્તાનની મેચ છે. કારણ કે તેને પુરી દુનિયાના લોકો જુએ છે અને કરોડો રૂપિયાની જાહેરખબરો પણ મળે છે. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ ન હોવા છતા ICC તેને મલ્ટી નેશનલ ટુર્નામેન્ટમાં એક જ ગૃપમાં રાખે છે. જેથી બંને વચ્ચે મુકાબલો થાય.
10 સેકન્ડના સ્લોટની કિંમત 40 લાખ
જો વર્લ્ડ કપમાં બંને વચ્ચે ટક્કર નહીં થાય તો યજમાન બ્રોડકાસ્ટરને માત્ર એન્ડોર્સમેન્ટથી જ આવનારા 200 થી 250 કરોડનું નુકસાન થઈ શકે છે. ભારત- પાકિસ્તાન જેવા મોટા મુકાબલામાં 10 સેકન્ડની જાહેરખબર સ્લોટ 40 લાખ રૂપિયા સુધી વેચાય છે.
એવામાં એ તો સ્પષ્ટ છે કે જો પાકિ્તાન આ મેચ બૉયકોટ કરવાનુ દુ:સાહસ કરે છે તો ICC ને ભારે નુકસાન થશે. પછી ICC તેની ભરપાઈનો આદેશ પાકિસ્તાનને આપી શકે છે અથવ તેના પર કડક પ્રતિબંધો લગાવી શકે છે. તેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે.
ભારતને રમ્યા વિના જ મળશે બે અંક
જો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નથી રમાતી તો ટીમ ઈન્ડિયાને રમ્યા વિના જ વૉકઓવર મળી જશે. તેને ફ્રીમાં 2 પોઈન્ટ મળી જશે અને પાકિસ્તાનને નેટ રન રેટનું પણ ભારે નુકસાન થશે. જેનાથી વર્લ્ડ કપમાં તેની આગળની રાહ ખતરામાં પડી શકે છે.
પાકિસ્તાને તોડી સમજૂતી
આમ જોવા જઈએ તો પાકિસ્તાનની નૌટંકી છેલ્લા કેટલાય દિવસોથી જારી છે. એશિયા કપમાં પણ ટીમે ટુર્નામેન્ટ બહિષ્કાર ની ધમકી આપી હતી જે બાદ જાતે જ રમવા આવ્યુ હતુ. આ વખતે પણ બાંગ્લાદેશ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વચ્ચે ચાલી રહેલા તણાવમાં વચ્ચે કૂદી પડ્યુ છે.
પાકિસ્તાને જ બાંગ્લાદેશને ભડકાવ્યુ અને આખરે તેને ટુર્નામેન્ટની બહાર થવુ પડ્યુ. જે બાદ પાકિસ્તાને પણ બૉયકોટની ધમકી આપી અને હવે ખુદ જ ભારત સાથે ન રમવાની વાત કહેવા લાગ્યુ છે.
પાકિસ્તાને આવુ પગલુ લેવાની હિંમત ત્યારે કરી છે જ્યારે ICC, PCB અને BCCI વચ્ચે 2027 સુધી ભારત-પાકિસ્તાન મેચો માટે હાઈબ્રિડ મોડલ પર સહમતી બની ચુકી છે. એ સ્પષ્ટપણે સહમતી છે કે બંને દેશ આઈસીસી ટુર્નામેન્ટ્સમાં ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. એવામાં પાકિસ્તાન બોર્ડ માટે આ પ્રકારના પસંદગીયુક્ત બહિષ્કારને યોગ્ય ઠેરવવાનું બિલકુલ સરળ સાબિત નહીં થાય.
હવે ICC એ આ સમગ્ર પ્રકરણને લઈને દુબઈ સ્થિત આવેલા હેડક્વાર્ટરમાં મિટીંગ બોલાવી છે. જેનાથી એવુ કહેવાઈ રહ્યુ છે કે પાકિસ્તાન સામેકડક કાર્યવાહી કરવા અંગે ICCની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
ICC પાકિસ્તાન પર ક્યા ક્યા પ્રતિબંધ લગાવી શકે ?
- પાકિસ્તાન સુપર લીગ (PSL) માં વિદેશી ખેલાડીઓની ભાગીદારી પર રોક
- સાથે જ લીગથી આંતરાષ્ટ્રીય માન્યતા અને પ્રોફેશલ સમર્થન પરત લઈ શકે
- ICC ના રેવન્યુ પૂલમાંથી પાકિસ્તાનને મળનારી રાશિમાં ભારે ઘટાડો, જેના પર PCB આર્થિક રીતે ઘણુ નિર્ભર છે.
- ભારત-પાકિસ્તાન મેચ નહીં થવાથી ભારે રાજસ્વ નુકસાનની ભરપાઈ માટે બ્રોડકાસ્ટરને વળતર આપવાનો નિર્દેશ
- એશિયા કપમાંથી બહાર થઈ શકે છે પાકિસ્તાન
- પાકિસ્તાન સાથે થનારી તમામ દ્વીપક્ષીય સિરીઝ પર પ્રતિબંધ
સરકારી હસ્તક્ષેપની કલમ
ICC ના બંધારણ (કલમ 2.4D) અનુસાર, દરેક દેશના ક્રિકેટ બોર્ડ (જેમ કે PCB અથવા BCCI) એ પોતાના નિર્ણયો ખુદ જ લેવા જોઈએ. જો કોઈ સરકાર તેના ક્રિકેટ બોર્ડને કોઈ દેશ સામે ન રમવાનો અથવા ત્યાં ન જવાનો આદેશ આપે છે, તો આ સરકારી હસ્તક્ષેપ ગણાય છે. આ કારણોસર ICC તે બોર્ડ પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.
ફાઈનાન્શિયલ અને કોમર્શિયલ પેનલ્ટી
ભારત-પાકિસ્તાન મેચ ફક્ત ટુર્નામેન્ટ માટે જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમ માટે આવકનો સ્ત્રોત છે. બ્રોડકાસ્ટર્સ (જેમ કે JioStar) વિજ્ઞાપનથી થનારી કમાણીમાં અંદાજે $25 મિલિયન થી $30 મિલિયન ગુમાવી શકે છે. બ્રોડકાસ્ટર આ પ્રોસેસમાં ICC પાસેથી નુકસાનીનું વળતર માંગશે. ICC ને આ કાનૂની દાવાઓ અને નાણાકીય નુકસાન સીધુ PCB પર લાદવાનો અધિકાર છે.
સામાન્ય રીતે જો કોઈ બોર્ડ રાજકીય, સુરક્ષા અથવા અન્ય કારણોસર મેચ રમવામાં અસમર્થતા દર્શાવે છે તો ICC તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લે છે. તેમા ભરવો પડત દંડ, રેવન્યુ કટ, અને ભવિષ્યની યજમાની અને ટુર્નામેન્ટ સંબંધિત અધિકારો પર અસર જેવી કાર્યવાહી સંભવિત માનવામાં આવે છે. જો કે આ પ્રકારનો નિર્ણય જે તે સમયયની પરિસ્થિતિને આધિન હોય છે. ભૂતકાળમાં હાઈબ્રિડ મોડલ અથવા ન્યુટ્રલ વેન્યુ જેવી વ્યવસ્થાઓ અપનાવવામાં આવી છે. જેથી રાજકીય તમાવ હોવાછતા ક્રિકેટ ક્યાંય અટક નહીં અને તમામ ઈવેન્ટ્સ સમયાનુંસાર યોજાઈ શકે.
