Breaking News: જમીન દુરુપયોગ કેસમાં મહેન્દ્ર સિંહ ધોનીને મળી નોટિસ, 15 દિવસમાં માંગ્યો જવાબ, જાણો શું છે આરોપ
ઝારખંડ હાઉસિંગ બોર્ડે હાર્મુ વિસ્તારમાં ફાળવાયેલા રહેણાંક પ્લોટના વાણિજ્યિક ઉપયોગ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પાઠવી છે. બોર્ડે 15 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું છે. આ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે અને જમીન ફાળવણીના નિયમો ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા છે.

ઝારખંડ હાઉસિંગ બોર્ડે ધોનીને મોકલેલી નોટિસમાં હાર્મુ વિસ્તારમાં આવેલા તેમના પ્લોટના ઉપયોગ અંગે સવાલ ઉઠાવ્યા છે. બોર્ડના દાવા મુજબ, આ જમીન મૂળ રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ હાલમાં તેનો ઉપયોગ વાણિજ્યિક પ્રવૃત્તિ માટે થઈ રહ્યો છે.
ધોનીના હાર્મુ સ્થિત નિવાસસ્થાને પેથોલોજી લેબ
માહિતી મુજબ, ધોનીના હાર્મુ સ્થિત નિવાસસ્થાને પેથોલોજી લેબ કાર્યરત છે. આ જ મુદ્દાને લઈને બોર્ડે વાંધો ઉઠાવ્યો છે. નિયમો મુજબ રહેણાંક પ્લોટ પર વ્યાવસાયિક પ્રવૃત્તિ ચલાવવા માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી હોય છે.
ધોનીને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી
ઝારખંડ રાજ્ય ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ સંજય પાસવાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે અનેક નોટિસો મોકલવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ધોનીને અગાઉ પણ અનેક વખત સૂચનાઓ પાઠવવામાં આવી હતી.
15 દિવસની અંદર લેખિતમાં જવાબ માંગ્યો
બોર્ડે ધોનીને 15 દિવસની અંદર લેખિતમાં જવાબ આપવા કહ્યું છે. જો નક્કી કરાયેલા સમયગાળામાં યોગ્ય સ્પષ્ટીકરણ આપવામાં નહીં આવે, તો નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. હાલ બોર્ડ તેના જવાબની રાહ જોઈ રહ્યું છે.
સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો દુરુપયોગ
આ કેસ માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી. બોર્ડે જણાવ્યું છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો દુરુપયોગ કરવાના મામલે અન્ય અનેક લાભાર્થીઓને પણ નોટિસ આપવામાં આવી છે. નિયમોના પાલન માટે બોર્ડ સખ્ત વલણ અપનાવી રહ્યું છે.
ધોની તરફથી ક્યારે મળશે જવાબ?
ઉલ્લેખનીય છે કે ધોની રાજ્ય અને દેશનો ફેમસ સ્પોર્ટ્સ પર્સન છે અને વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન તરીકે વિશ્વભરમાં ફેમસ છે, જેના કારણે આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે ધોની તરફથી આવનારા જવાબ પર સૌની નજર ટકેલી છે અને આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થવાની રાહ જોવામાં આવી રહી છે.
