Breaking News : ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી IPL 2025 ફરી શરૂ થવાની આશા વધી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, શુક્રવાર 9 મેના રોજ, BCCIએ તાત્કાલિક અસરથી IPL 2025 મુલતવી રાખ્યું હતું. જો કે 10 મે ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ IPL 2025 ફરી શરૂ થવાની આશા વધી ગઈ છે. BCCI ક્યારે આ અંગે જાહેરાત કરશે તેના પર તમામ ક્રિકેટ ફેન્સની નજર રહેશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે. 6-7 મેની રાત્રે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યા પછી શરૂ થયેલો મુકાબલો 10 મેના રોજ પાછો ખેંચી લેવામાં આવ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવાર, 10 મેના રોજ તાત્કાલિક અસરથી યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. આનાથી બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હાલ પૂરતો શાંત થયો હોય તેવું લાગે છે, તો બીજી તરફ, તેનાથી ક્રિકેટ ચાહકોની આશાઓ પણ વધી છે. આ અથડામણને કારણે એક અઠવાડિયા માટે મુલતવી રાખેલ IPL 2025 ફરી શરૂ થવાની શક્યતા હવે દેખાઈ રહી છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 9 મે, શનિવારના રોજ, BCCI એ IPL 2025 સિઝન મુલતવી રાખી હતી. ત્યારબાદ ભારતીય બોર્ડે આ ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ પાકિસ્તાનની નાપાક હરકતો ઓછી ન થતાં, ટુર્નામેન્ટ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતાઓ ધૂંધળી લાગતી હતી. પરંતુ ભારતીય દળો દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા જોરદાર જવાબી કાર્યવાહી બાદ, આખરે પાકિસ્તાની સેના અને સરકાર ઘૂંટણિયે પડી ગયા અને શનિવાર 10 મેના રોજ યુદ્ધવિરામ માટે સંમત થયા.
IPL 2025 ફરી શરૂ થવાની આશા
શનિવારે સાંજે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા યુદ્ધવિરામની જાહેરાત બાદ, જ્યાં બંને દેશોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યાં ભારતીય ક્રિકેટ ચાહકોને આશા જાગી છે કે ટુર્નામેન્ટ ફરી એકવાર શરૂ થઈ શકે છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 57 મેચ પૂર્ણ થઈ છે, જ્યારે 58મી મેચ અધવચ્ચે જ રોકવી પડી હતી. આ રીતે, સિઝનમાં કુલ 17 મેચ બાકી છે. આવી સ્થિતિમાં, ભારતીય બોર્ડ ફરી એકવાર તેનું સમયપત્રક તૈયાર કરશે.
શું ટૂર્નામેન્ટ તરત જ શરૂ થશે?
પરંતુ મોટો પ્રશ્ન એ છે કે, શું ટુર્નામેન્ટ તરત જ શરૂ થશે? જવાબ છે- ના. હકીકતમાં, ટુર્નામેન્ટ મુલતવી રાખ્યા પછી, ભારતીય બોર્ડે કહ્યું હતું કે તેઓ સરકાર સાથે સંપર્કમાં રહેશે અને તેની સલાહના આધારે આગળનો કોઈપણ નિર્ણય લેશે. આવી સ્થિતિમાં, યુદ્ધવિરામ શરૂ થયા પછી તરત જ તે શરૂ થવાની શક્યતા નથી. આનું એક કારણ યુદ્ધવિરામ છતાં સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ ચાલુ રહેવી છે. બીજું કારણ વિદેશી ખેલાડીઓનું તેમના ઘરે પરત ફરવું છે. આવી સ્થિતિમાં, શું તે ખેલાડીઓ તાત્કાલિક ભારત પાછા ફરી શકશે? વળી, શું તે હમણાં રમવા માટે તૈયાર હશે? આ પ્રશ્નો હજુ પણ બાકી છે.
BCCIની બેઠકમાં લેવાશે નિર્ણય
જોકે, ભારતીય બોર્ડે ટુર્નામેન્ટ ફરી શરૂ કરવા માટે કેટલીક તૈયારીઓ પહેલાથી જ કરી લીધી હતી. એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટૂર્નામેન્ટ ફરીથી શરૂ કરવા માટે દક્ષિણ ભારતના ત્રણ શહેરોની પસંદગી કરી છે. આ મુજબ, ટુર્નામેન્ટની બાકીની 17 મેચો ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં યોજીને સિઝન પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, BCCIની એક બેઠક ટૂંક સમયમાં યોજાશે જેમાં ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: Breaking News : IPL 2025 ફરી શરૂ કરવા અંગે મોટી અપડેટ, આ 3 શહેરોમાં બાકીની મેચોનું થશે આયોજન