ભારતીય ક્રિકેટ ટીમ ના સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને પત્રકાર દ્વારા મળેલી ધમકીની તપાસમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) લાગી ચુક્યુ છે. બોર્ડે આ મામલાની તપાસ માટે પોતાના 3 વરિષ્ઠ અધિકારીઓની એક કમિટી બનાવી છે, જે આવતા સપ્તાહથી તપાસ શરૂ કરશે. સાહાએ થોડા દિવસો પહેલા એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે એક વરિષ્ઠ પત્રકારના મેસેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. જેમાં પત્રકારે સાહાનો ઈન્ટરવ્યુ માટે સંપર્ક કર્યો હતો, પરંતુ જ્યારે વિકેટકીપર તરફથી કોઈ જવાબ ન આવ્યો તો તેણે ભારતીય ક્રિકેટરને ધમકી આપી. સાહા તે પત્રકારની ઓળખ જાહેર કરી રહ્યો ન હતો, પરંતુ હવે તે બોર્ડની તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને પત્રકારનું નામ પણ આપશે.
બોર્ડે શુક્રવારે 25 ફેબ્રુઆરીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ત્રણ સભ્યોની સમિતિ સાહા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે. BCCIએ તેની રજૂઆતમાં કહ્યું, “ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે 3 સભ્યોની સમિતિની રચના કરી છે, જે એક વરિષ્ઠ પત્રકાર વતી રિદ્ધિમાન સાહાને ધમકાવવાના મામલાની તપાસ કરશે.”
સાહાના ખુલાસા પછી જ બોર્ડે જાહેરાત કરી હતી કે તે આ મામલે વિકેટકીપર-બેટ્સમેનને સંપૂર્ણ સમર્થન આપશે અને આ મામલે તપાસ કરશે. હવે બોર્ડે તપાસ સમિતિની પણ જાહેરાત કરી છે. આ સમિતિઓમાં બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ સિંહ ધૂમલ અને BCCI એપેક્સ કાઉન્સિલના સભ્ય બલતેજ સિંહ ભાટિયાનો સમાવેશ થાય છે. બોર્ડે એ પણ જણાવ્યું કે કમિટી આવતા સપ્તાહથી આ મામલે તેની તપાસ શરૂ કરશે.
આ દરમિયાન એક મહત્વપૂર્ણ અપડેટ એ છે કે સાહા હવે પત્રકારનું નામ જાહેર કરવા માટે તૈયાર છે. સમાચાર એજન્સી પીટીઆઈની માહિતી અનુસાર, સાહાએ તપાસ માટે પોતાની સંમતિ આપી દીધી છે અને તે વરિષ્ઠ પત્રકારની ઓળખ પણ જાહેર કરશે. તપાસ સમિતિની રચના પહેલા બીસીસીઆઈએ સાહાનો સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી માંગી હતી.
સાહાએ ઈમેલ દ્વારા બોર્ડને સમગ્ર ઘટનાનો ખુલાસો પણ કર્યો હતો. જો કે, સાહાએ 23 ફેબ્રુઆરીએ પોતાની પ્રથમ ટ્વિટમાં અને પછી 3 અન્ય ટ્વિટમાં પત્રકારનું નામ લીધું ન હતું. સાહાએ કહ્યું હતું કે તે પત્રકારની કારકિર્દી અથવા તેના પરિવારને નુકસાન પહોંચાડવા માંગતા નથી. સાહાએ બોર્ડને મોકલેલા ઈમેલમાં પણ પત્રકારની ઓળખ જાહેર કરી નથી.
Published On - 11:40 pm, Fri, 25 February 22