Asian Games 2026 Cricket : ક્રિકેટ સ્ટેડિયમમાં ડ્રેસિંગ રૂમ કે વોશરૂમના ઠેકાણા નહીં, સુવિધા બાબતે BCCI નારાજ, નહીં મોકલે સ્ટાર ખેલાડીઓને !
ચીનમાં યોજાયેલી અગાઉની એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતવા માટે મજબૂત દાવેદાર ગણાય છે. આના માટે બીસીસીઆઈ દ્વારા એક મજબૂત ટીમની પસંદગી કરવામાં આવી છે. જોકે, હવે જાપાનથી આવી રહેલા સમાચારને લઈને ખેલાડીઓને મોકલવા અંગેની પરિસ્થિતિ બદલાઈ રહી હોવાનું દેખાય છે.

જાપાનમાં 2026ની એશિયન ગેમ્સમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. ત્રણ વર્ષ પહેલાં ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સની રમતોમાં T20 ફોર્મેટમાં પણ ક્રિકેટ રમાયું હતું. જ્યાં ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફરી એકવાર, ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખે છે, અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સંપૂર્ણ તાકાતવાળી ટીમ પસંદ કરી છે. જો કે, તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI જાપાનમાં નિયુક્ત ક્રિકેટ સ્થળ પર ડ્રેસિંગ રૂમથી લઈને વોશરૂમ સુધીની સુવિધાઓથી અસંતુષ્ટ છે, જેના કારણે સિનિયરને બદલે અન્ય ખેલાડીઓની ટીમ મોકલવાની શક્યતા વધી ગઈ છે.
એશિયન ગેમ્સ જાપાનના આઈચી-નાગોયામાં યોજાવાની છે, જેમાં ક્રિકેટની રમતનો પણ સમાવેશ કરાયો છે. એશિયન ગેમ્સ સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે મહિલા ક્રિકેટ મેચો 17 થી 22 સપ્ટેમ્બર સુધી રમાશે. દરમિયાન, પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે. એશિયાની સૌથી મજબૂત ટીમો ચાર દેશની છે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. પુરુષ અને મહિલા એમ બંને ઇવેન્ટ્સમાં આ ચારેય દેશ ભાગ લઈ રહ્યા છે.
બીસીસીઆઈ શેનાથી નાખુશ છે?
બીસીસીઆઈએ આ ઇવેન્ટ્સ માટે તમામ મુખ્ય ખેલાડીઓ ધરાવતી મજબૂત ભારતીય ટીમો પસંદ કરી હતી. જોકે, હવે એવું લાગે છે કે બોર્ડ લાઇનઅપમાં ફેરફાર કરી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ બંને આઈચી-નાગોયામાં નિયુક્ત ક્રિકેટ સ્થળ પર ખેલાડીઓ અને પ્રેક્ષકો માટેની સુવિધાઓ અને વ્યવસ્થાઓથી અસંતુષ્ટ છે.
બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને, એએનઆઈના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખેલાડીઓને તૈયાર થવા માટે મેચ સ્થળ પર તંબુઓ ઉભા કરવામાં આવી રહ્યા છે, આ તંબુનો ઉપયોગ ડ્રેસિંગ રૂમ તરીકે કરવાનો હેતુ છે. વધુમાં, ખેલાડીઓ માટેના શૌચાલય આ તંબુઓથી લગભગ 500 મીટર દૂર છે. વધુમાં, ખેલાડીઓને રાખવા માટેની હોટલો ખૂબ નાની છે.
શું ટીમ ઈન્ડિયા માટે કોઈ ફેરફાર થશે?
અહેવાલ સૂચવે છે કે ACC મીટિંગ દરમિયાન જાપાન ઓલિમ્પિક કમિટી સમક્ષ આ ચિંતાઓ ઉઠાવવામાં આવી હતી. BCCI ટૂંક સમયમાં સ્થળ પરની વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવા માટે એક નિરીક્ષકને જાપાન મોકલશે. આ નિરીક્ષક દ્વારા સુપરત કરાનારા રિપોર્ટના આધિન BCCI ભવિષ્યની કાર્યવાહી કરશે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો BCCI ટીમમાં શું ફેરફાર કરી શકે છે તે જોવાનું બાકી છે. શું આવા ફેરફારો પુરુષો અને મહિલા બંને ટીમોને લાગુ પડશે.
નોંધનીય છે કે પુરુષ ટીમનું નેતૃત્વ નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયર કરશે અને તેમાં જસપ્રીત બુમરાહ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને અર્શદીપ સિંહ જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. દરમિયાન, મહિલા ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ મેદાનમાં ઉતરશે, જેમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને રિચા ઘોષ જેવી મુખ્ય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય પુરૂષ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી,રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, જસપ્રિત બુમરાહ.
ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, કાંતિ ગૌંડ, અરુધંતિ રેડ્ડી,શ્રેયિકા પાટિલ, રાધા યાદવ, નંદિની શર્મા.
