Arjun Tendulkar IPL 2022 Auction: અર્જૂન તેંડુલકર પર સેલરીમાં 10 લાખ રુપિયાનો થયો વધારો, મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આટલા રુપિયામાં ખરિદ્યો
Arjun Tendulkar IPL 2022 Auction: અર્જુન તેંડુલકરે હજુ સુધી તેનુ IPL ડેબ્યૂ કર્યુ નથી જોકે તે ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો.
આઇપીએલ 2022 ની હરાજી (IPL 2022 Auction) માં અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) ની 30 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. હવે તે મુંબઈ ઈન્ડિયન્સ (IPL 2022 Auction) ટીમ તરફથી રમતા જોવા મળશે. અર્જુન તેંડુલકર સચિન તેંડુલકરનો પુત્ર છે. તે હજુ સુધી આઈપીએલમાં રમ્યો નથી. જોકે અર્જુન IPL 2021માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. આ વખતે છેલ્લી ઘડીએ તેનું નામ આવ્યું અને આવતાં જ દાવ લાગી ગયો હતો. IPL 2022ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેની પ્રથમ બોલી લગાવવામાં આવી હતી. ત્યારપછી ગુજરાત ટાઇટન્સે પણ તેના પર દાવ લગાવ્યો હતો પરંતુ મુંબઈએ 30 લાખ રૂપિયાનો દાવ લગાવીને અર્જુનને ફરીથી પોતાની સાથે જોડી દીધો હતો.
22 વર્ષીય અર્જુન તેંડુલકર ડાબા હાથનો ફાસ્ટ બોલર છે અને ડાબા હાથથી બેટિંગ કરે છે. આઈપીએલ 2021ની હરાજીમાં મુંબઈ દ્વારા તેને 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે લેવામાં આવ્યો હતો. તેને અંતિમ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, તે કોઈ મેચ રમી શક્યો નહોતો. અર્જુન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
અર્જુન તેંડુલકરે અત્યાર સુધી ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ માટે માત્ર T20 ક્રિકેટ રમી છે. તેના નામે બે મેચમાં બે વિકેટ છે. તેણે આ મેચો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી હતી. હવે તેને રણજી ટ્રોફી 2022 માટે મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એવી પૂરી શક્યતા છે કે તે ફર્સ્ટ ક્લાસમાં પદાર્પણ કરે.
અર્જુન ભારત અને ઈંગ્લેન્ડનો નેટ બોલર રહ્યો છે
ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમનો પણ ભાગ અર્જુન તેંડુલકર રહી ચૂક્યો છે. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના નેટ બોલરની ભૂમિકામાં પણ જોવા મળ્યો છે. તે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સાથે પણ રહી ચૂક્યો છે. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી પહેલા તેણે ઈંગ્લેન્ડની ટીમમાં નેટ બોલર તરીકે કામ કર્યું હતું. તે ભારતીય ટીમમાં નેટ બોલર તરીકે પણ રહી ચૂક્યો છે.
મુંબઈએ અર્જુનને લીધો, પછી નેપોટિજ્મનો આરોપો લાગ્યો
ગયા વર્ષે જ્યારે અર્જુનને મુંબઈ લઈ ગયો હતો ત્યારે તેના પર નેપોટિજ્મનો આરોપો લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ઘણું કહેવામાં આવ્યું હતું. આવું એટલા માટે થયું કારણ કે સચિન IPLમાં મુંબઈ તરફથી રમ્યો હતો. સાથે જ તે આ ટીમના મેન્ટર પણ છે. આવી સ્થિતિમાં મુંબઈથી અર્જુનની ખરીદી પર સવાલો ઉભા થયા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે અર્જુન પર તેની આવડતના કારણે દાવ લગાવવામાં આવ્યો હતો.