વિષ્ણુ પંડ્યાના એકસો એકાવન પુસ્તકોના પ્રકાશનથી સાહિત્ય, ઈતિહાસ અને પત્રકારત્વમાં સમૃદ્ધ ઉમેરણ

વિષ્ણુ પંડ્યાને 2017માં રાષ્ટ્રપતિના વરદ હસ્તે પત્રકારત્વમાં વિશેષ પ્રદાન માટે “પદ્મ શ્રી” સન્માન મળ્યું અને ગુજરાત યુનિવર્સિટી તરફથી 2018માં ડી. લિટની માનદ પદવી એનાયત થઈ.

વિષ્ણુ પંડ્યાના એકસો એકાવન પુસ્તકોના પ્રકાશનથી સાહિત્ય, ઈતિહાસ અને પત્રકારત્વમાં સમૃદ્ધ ઉમેરણ
| Updated on: Aug 08, 2023 | 7:04 PM

હાલમાં પ્રકાશિત થયેલી નવલકથા “હું, સનાતન” થી ખ્યાત સાહિત્યકાર વિષ્ણુ પંડ્યાનું પુસ્તક પ્રકાશન 151 સંખ્યા સુધી પહોંચ્યું છે. તે માત્ર સંખ્યાની દ્રષ્ટિએ નહિ, પણ નવલકથા, નિબંધ, પત્રકારત્વ, ઇતિહાસ અને રાજકીય સમીક્ષાના ક્ષેત્રે મૂલ્યવાન ઉમેરો પણ છે. હજુ બીજા ત્રણ પુસ્તકો “ક્રાંતિની આગમાં ખીલ્યાં પ્રણયના ફૂલ”, “મૃત્યુમોહ” અને “પત્રકારત્વનું પહેલું પાનું” પ્રકાશિત થવામાં છે.

વિષ્ણુ પંડયાએ વિવિધ સ્વરૂપોમાં હાથ અજમાવ્યો છે અને તેનો મોટો વર્ગ વાચક છે. ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાનના પંજાબનું જોખમી ભ્રમણ કરીને તેમણે “રકતરંજિત પંજાબ” લખ્યું હતું. જનરલ જગજીતસિંહ અરોરાએ વખાણ્યું હતું, ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોનો ત્યાં જઈને કરેલા અભ્યાસનું પુસ્તક “સીમા પર સાવધાન” વાંચીને અટલ બિહારી વાજપેયીએ રાજસ્થાનની પરિષદમાં સૂચવ્યું હતું કે આવું કામ દરેક સરહદી રાજ્યોએ કરવું જોઈએ. આસામ અને ઈશાન ભારતની સમસ્યાઓ પર ગુજરાતીમાં સર્વ પ્રથમ પુસ્તક “ભારેલો અગ્નિ” અને તે પછી “સળગતી સરહદો” અને “ઓહ, આસામ” વિષ્ણુ પંડયાએ લખ્યા છે.

ગુજરાત અને દેશ વિદેશના ભારતીય સશસ્ત્ર સ્વાતંત્ર્યવીરો અને ઘટનાઓ પર તેમણે સંશોધન સાથે જે લખ્યું તે ઇતિહાસમાં મહત્વનુ પ્રદાન છે. વિસ્મૃત થઈ ચૂકેલા આંતરરાષ્ટ્રીય વિદ્વાન અને ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના મહાન પ્રદાનને દુનિયા સમક્ષ મૂકવામાં વિષ્ણુ પંડ્યાના પુસ્તકો “પંડિત શ્યામજી કૃષ્ણવર્મા”, “શ્યામજી કૃષ્ણવર્મા:ક્રાંતિની ખોજમાં”, “લંડનમાં ઇંડિયન સોસિયોલોજિસ્ટ”એ મહત્વનો ફાળો આપ્યો છે. તેના કારણે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીનીવામાં 75 વર્ષથી રાહ જોતાં શ્યામજી-ભાનુમતિના અસ્થિ લાવ્યા અને માંડવીમાં ભવ્ય “ક્રાંતીતીર્થ”નું નિર્માણ થયું.

“ગુજરાતનાં ક્રાંતિતીર્થો” એ તેમનું એક વધુ, યશસ્વી લેખન-સંશોધન કાર્ય છે. વિષ્ણુ પંડ્યા-આરતી પંડ્યા લિખિત આ પુસ્તકમાં ગુજરાતનાં 101 સ્થાનોની ગાથા છે , જ્યાં સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિ પથરાયેલી છે. તેમાં સિંગાપુરમાં ફાંસીના માચડે ચડેલા ગુજરાતી પત્રકાર છગન ખેરાજ વર્મા અને વડનગરના નાગર પરિવારના, ભગવતી ચરણ વોરાની આહુતિની વિગતો છે, જે સરદાર ભગતસિંહના થિંક ટેન્ક હતા. આવા 101 સ્થાનો પરના સશસ્ત્ર ક્રાંતિનો ઇતિહાસ ઉપરાંત 30 જેટલા સત્યાગ્રહોની વિગતો છે. 600 પાનનો આ ગ્રંથ બે વાર પ્રકાશિત થયો છે.

ગુજરાતને કેન્દ્રમાં રાખીને આ દંપતીના પુસ્તકોમાં વિપ્લવમાં ગુજરાત, ચૂંટણીની શતરંજ, તસવીરે ગુજરાત, ગુજરાત ચૂંટણી 2012, ગુજરાત ચૂંટણી 2022, સ્વર્ણિમ ગુજરાતનાં 50 વર્ષો, ગુજરાતનાં ઘરદીવડા અને તેજ નક્ષત્રોનો સમાવેશ થાય છે. એ જ રીતે પત્રકારત્વનો ઇતિહાસ, પત્રકારત્વની રૂપરેખા, અખબારનું સંપાદન, કાનૂન અને પત્રકારત્વ, કલમના સિપાહી, પત્રકારત્વ:પ્રશ્નો અને પડકારો વગેરેનું લેખન તેમણે કર્યું.

આ પણ વાંચો : વિશ્વાસ… અવિશ્વાસ.. વિશ્વાસ.. સંસદીય લોકશાહીનો અટ્ઠાવીસમો પ્રયાસ?

અટલ બિહારી વાજપેયીના લેખન, વક્તવ્ય અને જીવનનો એક બૃહદ ગ્રંથ ”આપણા અટલજી: સ્મૃતિ, રાજનીતિ અને કવિતા“ ઉપરાંત તેમના કાવ્યોનો વિવિધ કવિઓ દ્વારા કરેલો અનુવાદ અને વિવેચન પણ પ્રકાશિત થયા.

કટોકટી અને સેન્સરશીપ વિષે ગુજરાતમાં બે મુખ્ય પુસ્તકો છે. એક નરેન્દ્ર મોદીનું સંઘર્ષમાં ગુજરાત અને બીજું વિષ્ણુ પંડ્યાનું મિસાવાસ્યમ. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિષે “નેતાજી, અંતિમ અધ્યાય” અને સ્વામી વિવેકનંદની ગુજરાત યાત્રા પર ડોકયુ-નોવેલ “ઉત્તીષ્ઠિત ગુજરાત” લોકપ્રિય બની છે. પત્રકારત્વમાં 50 વર્ષોથી વધુ ખેડાણ દર્શાવતી સ્મૃતિ કથા “શબ્દની રણભૂમિ” લખી છે, 2017માં રાષ્ટ્રપતિના વરદ હસ્તે પત્રકારત્વમાં વિશેષ પ્રદાન માટે “પદ્મ શ્રી” સન્માન મળ્યું અને ગુજરાત યુનિવર્સિટી તરફથી 2018માં ડી. લિટની માનદ પદવી એનાયત થઈ.

2017થી 2022 પાંચ વર્ષ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સ્વીકારીને ગુજરાતી સાહિત્યને ગુજરાતનાં અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડવાનું, આંતર રાષ્ટ્રીય સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાણનું અને ગાંધીનગરમાં “અકાદમી મેઘાણી ભવન” ના નિર્માણનું યશસ્વી કાર્ય વિષ્ણુ પંડ્યાને જાય છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Published On - 7:02 pm, Tue, 8 August 23

Follow Us
Loading...
Unable to load recommendations.