New Parliament Building: નવા સંસદ ભવનની જરૂર કેમ પડી ? 5 મુદ્દામાં જાણો તેના કારણો
New Parliament Building: નવા સંસદભવનના નિર્માણ પર વિરોધ પક્ષો પહેલા દિવસથી જ સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે વર્તમાન સંસદ ભવનમાં ફેરફાર કરી શકાયો હોત. જાણો ત્યારે પણ નવું સંસદ ભવન કેમ બનાવવામાં આવ્યું છે?
દેશની સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. નવા સંસદ ભવન બનાવવાની જાહેરાત બાદથી જ વિપક્ષી પાર્ટીઓ આને લઈને મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. મોદી સરકારને સવાલો પૂછવામાં આવ્યા છે કે વર્તમાન સંસદ ભવનનું નવીનીકરણ કરવાને બદલે નવી ઇમારત બનાવવાની શું જરૂર હતી? ચાલો તમને જણાવીએ કે મોદી સરકારને નવી સંસદ ભવન બનાવવાની કેમ જરૂર પડી.
વર્તમાન સંસદ ભવન એ બ્રિટિશ વસાહતી યુગની ઇમારત છે, જેને ‘કાઉન્સિલ હાઉસ’ તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી. તેનું બાંધકામ 1927માં પૂર્ણ થયું હતું. ભારતની આઝાદી બાદ તેને દેશના સંસદ ભવનમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.
1. મૂળ ડિઝાઇન ઉપલબ્ધ ન હોવાથી ફેરફાર શક્ય નથી
બ્રિટિશ સરકારે આઝાદી સમયે ભારત સરકારને વર્તમાન સંસદ ભવનની મૂળ ડિઝાઈનનો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ સોંપ્યો ન હતો. જેના કારણે આ બિલ્ડિંગમાં ફેરફાર શક્ય નથી. તેમાં જે પણ નવા બાંધકામો અને સુધારાઓ થયા છે તે તમામ કામચલાઉ રીતે કરવામાં આવ્યા છે. આનું ઉદાહરણ વર્તમાન સંસદ ભવનના બહારના ગોળાકાર ભાગમાં વર્ષ 1956માં બનેલા બે નવા માળ પરથી લઈ શકાય છે. આ માળના બાંધકામને કારણે સેન્ટ્રલ હોલનો ગુંબજ છુપાઈ ગયો હતો અને મૂળ ઈમારત નો ચહેરો બદલાઈ ગયો હતો.
2. સાંસદોની સંખ્યા વધારવા પર બેસવાની જગ્યા નથી
વર્તમાન ભારતીય સંસદમાં 545 લોકસભા સાંસદો છે. 1971ની વસ્તી ગણતરીના આધારે કરાયેલા સીમાંકનના આધારે, આ સંખ્યા વિવિધ બંધારણીય સુધારા અધિનિયમો અનુસાર સ્થિર રહી છે. આ સમયગાળા દરમિયાન વસ્તીમાં ઘણો વધારો થયો છે. હાલમાં, દરેક સાંસદ સરેરાશ 25 લાખ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતની આઝાદી (5 લાખ વસ્તી દીઠ આશરે એક સાંસદ) અને વિશ્વના અન્ય લોકશાહી દેશોની સરખામણીમાં ઘણી વધારે છે.
આ કારણે ભારતીય સંસદમાં પ્રતિનિધિત્વ વધારવાની માગ કરવામાં આવી છે. જો વર્ષ 2026માં સંસદના સભ્યોની સંખ્યા વધારવા પર પ્રતિબંધ મુકાયા બાદ આ સંખ્યામાં વધારો કરવામાં આવે છે, તો વર્તમાન બિલ્ડીંગમાં આવનારા સાંસદોને સમાવવા માટે પૂરતી જગ્યા નથી.
3. હાલની ઇમારત પહેલાથી જ ખૂબ દબાણ હેઠળ
વર્તમાન સંસદ ભવન પહેલાથી જ વિવિધ કારણોસર ભારે દબાણ હેઠળ છે. તેના માળખાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે કે જો સંસદની ક્ષમતા વધારવી હોય, તેની માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવી હોય, તેની ભૂકંપની સુરક્ષા સુનિશ્ચિત કરવી હોય તો જૂની ઇમારતમાં ફેરફાર કરવાને બદલે નવું સંસદ ભવન બનાવવું જોઈએ.
હાલની ઇમારતના નિર્માણ સમયે, દિલ્હી ભૂકંપ ઝોન-2માં આવતું હતું, જ્યારે હવે તેને રાષ્ટ્રીય રાજધાનીની ભૂકંપની હિલચાલના આધારે વધુ સંવેદનશીલ ભૂકંપ ઝોન-4માં રાખવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે દિલ્હીની સપાટી પર વધી રહેલા ભારને કારણે ભૂકંપની ગતિ વધુ વધી છે, જેના કારણે આ ભૂકંપ ઝોન-5માં પણ જઈ શકે છે. નવી સંસદ ભવન સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે.
4. સેન્ટ્રલ હોલમાં માત્ર 436 લોકો જ બેસી શકે છે
વર્તમાન સંસદ ભવનની મહત્તમ બેઠક ક્ષમતા લોકસભામાં 552 અને સેન્ટ્રલ હોલમાં 436 છે. આવી સ્થિતિમાં, જ્યારે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્ર હોય છે, ત્યારે મર્યાદિત બેઠકોની સમસ્યા વધુ વધી જાય છે. સંયુક્ત સત્ર દરમિયાન કોરિડોરમાં ઓછામાં ઓછી 200 એડ-હૉક/અસ્થાયી બેઠકો ઉમેરવામાં આવે છે જે સાંસદોનું અપમાન કરે છે. મર્યાદિત જગ્યાને કારણે તે એક મોટું સુરક્ષા જોખમ પણ છે. મંત્રી કચેરીઓ અને મીટિંગ રૂમ, જમવાની સગવડ, પ્રેસ રૂમ વગેરે જેવી સુવિધાઓ અપૂરતી છે.
5. નવા સંસદભવનમાં આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે
અંદાજીત 862 કરોડના ખર્ચે નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચાર માળની આ ઈમારતને સંપૂર્ણપણે ભૂકંપ પ્રૂફ અને આધુનિક સુવિધાઓથી ભરપૂર બનાવવામાં આવી છે. નવી ઇમારતની લોકસભા ચેમ્બરમાં 1,272 સભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી બંને ગૃહોનું સંયુક્ત સત્ર પણ અહીં યોજવામાં આવે.
નવી લોકસભા બિલ્ડીંગમાં 888 સાંસદ બેઠકો રાખવામાં આવી છે, જ્યારે પ્રેક્ષક ગેલેરીમાં 336 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યસભાની ચેમ્બરમાં પણ હાલની બિલ્ડિંગમાં 280 સાંસદોની ક્ષમતા નવી બિલ્ડિંગમાં વધીને 384 કરવામાં આવી છે. તમામ મંત્રીઓ માટે નવા બિલ્ડીંગમાં ઓફિસો બનાવવામાં આવી છે.