મુસ્લિમ-ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિતોની હાલત કેવી છે ? સરકાર કરશે તપાસ
સમિતિ હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મના લોકોએ અન્ય ધર્મ અંગીકાર કર્યો હશે તેવા લોકોનો જ સર્વે કરશે.
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક કમિશન બનાવવા જઈ રહી છે, જે ધર્માંતરિત અનુસૂચિત જાતિના (Scheduled Caste converts) લોકો પર સર્વે કરશે. વાસ્તવમાં આ કમિટી એવા લોકોનો જ સર્વે કરશે જેમણે હિંદુ, બૌદ્ધ અને શીખ (Hindu, Buddhist, Sikh) ધર્મમાંથી અન્ય ધર્મ અપનાવ્યા છે. કમિશન તેમની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ વિશે જાણશે. આ કમિશનની રચના કરવાનો મામલો કેન્દ્ર સરકાર સાથે સતત ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં કેન્દ્ર તેને મંજૂરી આપી શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના જણાવ્યા અનુસાર રજુ કરેલા અહેવાલ મુજબ, લઘુમતી બાબતોના મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગે આ પહેલને મંજૂરી આપી છે. હાલમાં આ કમિશનની દરખાસ્ત અન્ય મંત્રાલયોને તેમના જાણકારી માટે મોકલવામાં આવી છે. ધર્માંતરિત દલિતોને અનામતના લાભ માટે સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ ચાલી રહી છે તેના પર આ કમિશનની રચના એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ અરજીઓ મોટાભાગે એવા લોકો માટે છે જેમણે ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ અથવા ઈસાઈ ધર્મ અપનાવ્યો છે.
વાસ્તવમાં, અનુચ્છેદ 341 હેઠળ કહેવામાં આવ્યું છે કે હિંદુ ધર્મ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મને શેડ્યૂલ કાસ્ટમાં વર્ગીકૃત કરવામાં આવશે નહીં. આ કાયદા અનુસાર, પહેલા હિંદુઓમાં માત્ર અનુસૂચિત જાતિની શ્રેણીને જ મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ તેમાં સુધારો કરીને શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉમેરો કરવામાં આવ્યો.
1 વર્ષમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે
આ કમિશનમાં ત્રણ કે ચાર સભ્યો હોઈ શકે છે. કમિશનના અધ્યક્ષનો દરજ્જો કેન્દ્રીય કેબિનેટ મંત્રીની સમકક્ષ હશે. આ કમિશનને તેનો રિપોર્ટ સરકારને સોંપવા માટે લગભગ 1 વર્ષનો સમય મળશે. આ કમિશન ધર્માંતરિત દલિતોની સ્થિતિની ચોક્કસપણે સમીક્ષા કરશે. આ ઉપરાંત આ સમિતિ શિડ્યુલમાં અન્ય જ્ઞાતિઓને કાસ્ટમાં ઉમેરવાની અસરની પણ સમીક્ષા કરશે.
ST અને OBC પર કોઈ પ્રતિબંધ નથી
આ મુદ્દો ફક્ત શેડ્યૂલ કાસ્ટ પૂરતો મર્યાદિત છે. કારણ કે ST એટલે કે અનુસૂચિત જનજાતિ અને OBC પર બીજા ધર્મમાં જવા પર કોઈ પ્રતિબંધ નથી. મંડલ કમિશનના રિપોર્ટ અનુસાર, DoPT વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે, ‘અનુસૂચિત જનજાતિના વ્યક્તિના અધિકાર તેના ધર્મ પર નિર્ભર નથી. ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ OBCમાં આવે છે.