વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી… 2024 સૌથી ખરાબ રહ્યું વર્ષ
નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે, 2024 માં વિવિધ એરલાઇન્સને વિમાનમાં બોમ્બ મુકાયાની ધમકીના નકલી કોલ કરવા બદલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જાણો શા માટે 2024નું વર્ષ બોમ્બ ધમકીઓ માટે સૌથી ખરાબ રહ્યું હતું.

સરકારે લોકસભામાં જણાવ્યું છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં એરલાઇન્સને 24 વખત વિમાનમાં બોમ્બ મુકવામાં આવ્યાની ખોટી ધમકીઓ મળી છે. 2022 થી માર્ચ 2025 સુધી – એટલે કે, છેલ્લા ત્રણ વર્ષમાં, ભારતના એરલાઇન ઉદ્યોગને કૂલ 836 બોમ્બ ધમકીઓ મળી છે. સૌથી રસપ્રદ ડેટા ગયા વર્ષનો છે. 2022માં ફક્ત 13 ધમકીઓ મળી હતી. જ્યારે 2023ના વર્ષમાં તે વધીને 71 થઈ હતી.
પરંતુ 2024 માં, તેમાં દસ ગણો વધારો જોવા મળ્યો. ગયા વર્ષે, એરલાઇન્સને 728 બોમ્બની ધમકીઓ મળી હતી, જેના કારણે 2024 વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ માટેનું સૌથી ખરાબ વર્ષ બન્યું. સરકારે ગયા વર્ષે પણ નકલી ધમકીઓ આપવા બદલ 13 લોકોની ધરપકડ કરી હતી. સરકાર આને રોકવા માટે કેવા પગલાં લઈ રહી છે, જેથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત ન થાય.
સરકાર આ વિશે શું કરી રહી છે?
નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના ડેટાને ટાંકીને, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે 2024 માં એરલાઇન્સને બોમ્બ ધમકીના નકલી કોલ કરવા બદલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા વધારવાની વાત કરીએ તો, સરકારે તાજેતરમાં કાયદા અમલીકરણ એજન્સીઓ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, CISF અને અન્ય હિસ્સેદારોની મદદથી આવા જોખમોનો સામનો કરવા માટે મજબૂત પ્રોટોકોલ લાગુ કર્યા છે જેથી ફ્લાઇટ કામગીરી ઓછામાં ઓછી પ્રભાવિત થાય.
સરકારે કહ્યું છે કે દરેક એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC) હોય છે જે ધમકીનું વિશ્લેષણ કરે છે અને જરૂર પડ્યે પગલાં લે છે. સરકારે જણાવ્યું છે કે, બોમ્બ મુકાયાની નકલી ધમકીઓનો સામનો કરવા માટે, સરકાર નાગરિક ઉડ્ડયન સંબંધિત તમામ હિસ્સેદારો સાથે વાતચીત કરી રહી છે અને માળખાગત સુવિધાઓની જાળવણી સુનિશ્ચિત કરવા અને હવાઈ મુસાફરીમાં લોકોનો વિશ્વાસ જાળવવા માટે સલાહ પણ લઈ રહી છે.
દેશમાં રોજબરોજ બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો