પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે ઘટાડો ! સરકારે ભાવ ઘટાડા માટે તૈયાર કર્યો પ્લાન
Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને સરકાર એક્શનમાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ટૂંક સમયમાં આ અંગે મોટું પગલું ભરી શકે છે.
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને સરકાર એક્શનમાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય માણસને રાહત આપવા માટે સરકાર મોટા પગલા લઈ શકે છે. આ અંગે નવો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની પ્રક્રિયામાં નથી. કારણ કે એક્સાઇઝ ડ્યુટીમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થવાથી મોંઘવારી માત્ર 0.20 ટકા ઘટે છે.
દિલ્હીમાં પેટ્રોલનો દર 106.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે અને ડીઝલ 96.27 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 33 પૈસાનો વધારો થયો છે અને હવે તે 112.44 પૈસા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે. ડીઝલની કિંમતમાં પણ 37 પૈસાનો વધારો થયો છે અને હવે તે 103.26 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.
શું તૈયારી કરી રહી છે સરકાર ? સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલની વધતી કિંમતોમાંથી રાહત આપવા માટે સરકાર કંપનીઓને કિંમતો પર કાર્યવાહી કરવા માટે કહી રહી છે. ઓઇલ કંપનીઓ કિંમતો પર મર્યાદા મૂકવા માટે નવી સિસ્ટમ લાવી શકે છે. સરકાર અન્ય કોઇ ભાવ સૂચકાંકના આધારે તેલ ખરીદી શકાય છે કે નહીં તેની જરૂરિયાત પર પણ ધ્યાન આપી રહી છે. જો કિંમતોમાં ખૂબ વધઘટ થાય છે, તો શું અન્ય સ્રોતોમાંથી ભારતમાં તેલ આયાત કરી શકાય છે? કિંમતોમાં આ અસ્થિરતા લાંબા સમય સુધી ચાલશે નહીં અને તે સામાન્ય સ્થિતિમાં આવશે. માગ અને પુરવઠા વચ્ચે બહુ ફરક નથી.
શું ટેક્સ ઓછો થશે? સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર હાલમાં ટેક્સ ઘટાડવાની તૈયારી કરી રહી નથી. કારણ કે એક્સાઈઝમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાથી ફુગાવા પર ખાસ અસર નહીં પડે. સરકારે સંસદને જણાવ્યું હતું કે એપ્રિલ 2020 થી માર્ચ 2021 વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારવાના કારણે ટેક્સ કલેક્શન 3.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં પેટ્રોલ અને ડીઝલમાંથી કર વસૂલાત રૂ. 1.78 લાખ કરોડ હતી, જે હવે વધીને 3.35 લાખ કરોડ થઈ છે.
સરકારે વધુ કમાણી કરી હોત, પરંતુ લોકડાઉનને કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો. લોકડાઉન અને કોરોના પ્રતિબંધોને કારણે વાહનોની અવર જવર બંધ થવાને કારણે, પેટ્રોલ અને ડીઝલની માગમાં ઘટાડો થયો, જેના કારણે ટેક્સ કલેક્શન પણ ઓછું હતું. એક્સાઇઝમાંથી આવકના પ્રવાહમાં માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં પરંતુ એટીએફ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલનો પણ સમાવેશ થાય છે. આ બધાને ઉમેરીને, નાણાકીય વર્ષ 21 માં સરકારને કુલ 3.89 લાખ કરોડનું એક્સાઇઝ કલેક્શન મળ્યું છે.
સરકાર કિંમતો ઘટાડવા માટે ઘણા પગલાં લઈ રહી છે આ સિવાય ભારત એક જૂથ બનાવી રહ્યું છે, જેમાં સરકારી અને ખાનગી રિફાઇનરી કંપનીઓને એક સાથે લાવવામાં આવશે, જેથી તેઓ ક્રૂડ ઓઈલની આયાત પર વધુ સારી ડીલની માગ કરી શકે. તેનો હેતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો છે. પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે મંગળવારે આ માહિતી આપી હતી. દેશ તેલના વધતા ભાવની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ, તેની ક્રૂડ જરૂરિયાતોના લગભગ 85 ટકા આયાત પર આધાર રાખે છે.
આ પણ વાંચો : તેલના ભાવમાં ન થયો ઘટાડો, ખાદ્ય તેલ પર આયાત ડયૂટીમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને નથી મળી રહ્યો