બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડવા મામલે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ, બે સપ્તાહમાં મુક્તિ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા આદેશ
Bilkis Bano Case: બિલ્કિસ બાનો કેસના દોષિતોને છોડવા મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે ગુજરાત સરકારને બે સપ્તાહમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા નોટિસ પાઠવી છે.
ગુજરાતના વર્ષ 2002ના રમખાણોની પીડિતા બિલ્કિસ બાનો(Bilkis Bano)ના દોષિતોની મુક્તિના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ કરાયેલી તમામ અરજીઓ પર નોટિસ પાઠવી છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) બિલ્કિસ બાનો કેસમાં રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર(Gujarat Government)ને બે સપ્તાહમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત તમામ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા જણાવ્યુ છે.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયામાં અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, મુક્ત કરાયેલા 11 લોકોને અરજીકર્તા તરફથી પક્ષ ન બનતા સુનાવણી શુક્રવારે ટળી ગઈ છે.
11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા
બિલ્કિસ બાનોએ આ કેસમાં કહ્યું હતું કે તેમના અને તેમના પરિવારના સાત સભ્યો સાથે જોડાયેલા આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોની સજા પૂર્ણ થયા પહેલા અપાયેલી મુક્તિએ તેના ન્યાય પરના વિશ્વાસને તોડી નાખ્યો છે. બિલ્કિસ બાનો સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સદસ્યોની હત્યાના દોષિત 11 લોકોને ગુજરાત સરકારે માફી નીતિ અંતર્ગત સજા માફી આપી દીધી હતી. ત્યારબાદ 15 ઓગષ્ટે તેમને ગોધરા સબજેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
બિલ્કિસે ગણાવ્યો અન્યાયકારી નિર્ણય
સરકારના આ પગલાની ટીકા કરતા બિલ્કિસે કહ્યું કે આટલો મોટો અને અન્યાયી નિર્ણય લેતા પહેલા કોઈએ તેમની સુરક્ષા વિશે ન પૂછ્યું અને ના તો તેના ભલા વિશે વિચાર્યું હતું. તેમણે ગુજરાત સરકારને તેમના નિર્ણયને બદલવા અને તેને કોઈપણ ભય વિના શાંતિથી જીવવાનો અધિકાર આપવા જણાવ્યું હતું. બિલ્કિસ બાનો વતી તેમના વકીલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 15 ઓગસ્ટ, 2022ના રોજ જ્યારે મેં સાંભળ્યું કે મારી ત્રણ વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લેનારા 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું હતું. તો મારી સામે 20 વર્ષ જૂનો ભયાનક ભૂતકાળ ફરી જાગ્રત થઈ ગયો.
ન્યાય પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો
બિલ્કિસે કહ્યું કે આજે તે માત્ર એટલું જ કહી શકે છે કે એક મહિલા માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? તેમણે કહ્યું, મે દેશની સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ કર્યો. મેં તંત્ર પર ભરોસો કર્યો અને ધીમે ધીમે મારા ભયાનક ભૂતકાળ સાથે જીવવાની કોશિષ કરી રહી હતી. પરંતુ દોષિતોની મુક્તિની સાથે મારી માનસિક શાંતિ ડહોળાઈ ગઈ છે અને મારો ન્યાય પરથી ફરી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. બિલ્કિસે કહ્યુ ‘મારુ દુ:ખ, મારી પીડા અને ન્યાય પરથી મારો વિશ્વાસ ઉઠી જવો એ માત્ર મારી સમસ્યા નથી. પરંતુ કોર્ટમાં ન્યાય માટે લડી રહેલી તમામ મહિલાઓની વાત છે.’