બિલ્કીસ બાનુ બળાત્કાર કેસના આરોપીઓની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ
બિલ્કીસ બાનુના દોષિતોને મુક્ત કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત રમખાણોમાં તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. દોષિતોને મુક્ત કરવા સામે મામલો કોર્ટમાં પહોંચ્યો છે
બિલ્કીસ બાનુના (Bilkis Banu) દોષિતોને મુક્ત કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાતમાં 2002માં ફાટી નિકળેલા રમખાણોમાં બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર થયો હતો. સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરાયેલી અરજીમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલાની સુનાવણી બુધવારે એટલે કે આવતીકાલે જ થવી જોઈએ. આના પર સીજેઆઈએ કહ્યું છે કે તેઓ જોશે. બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર (gang rape of Bilkis Banu) કેસમાં 11 દોષિતો 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી (Godhra Sub Jail) બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે કેદીઓ માટેની માફી નીતિ હેઠળ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. તમામે 15 વર્ષ સુધી જેલમાં હતા.
બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર કેસમાં પકડાયેલા તમામ 11 આરોપીઓને 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. બધાને બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી.
2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ ઉપર સામૂહિક બળાત્કાર કરાયો હતો. તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 11 લોકો સામે, સામૂહિક બળાત્કાર અને 7 લોકોની હત્યાના આરોપો ઘડવામાં આવ્યા હતા. તમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તમામ આરોપીઓ ગોધરા જેલમાં બંધ હતો. હવે એ જ 11 દોષિતોની સજા માફ કરવામાં આવી છે. જેમને આજીવન કેદની સજા થઈ હતી. આ આરોપીઓને આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર મુક્ત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મળેલા પત્ર બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હતો. 10 જૂને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત પર્વ દરમિયાન કેટલાક કેદીઓને તેમની સજા માફ કરીને મુક્ત કરવામાં આવશે. આ રિલીઝ ત્રણ તબક્કામાં થશે. 15 ઓગસ્ટનો દિવસ પ્રથમ તબક્કાનો ભાગ હતો, જ્યારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.