મને અંધારામાં રાખ્યો, મારી સામે ખોટું બોલ્યા, અમરિંદર સિંહે હરીશ રાવતના દાવા પર વળતો પ્રહાર કર્યો
હરીશ રાવતે કહ્યું હતું કે કોંગ્રેસ કેપ્ટનનું સૌથી વધુ સન્માન કરે છે. તેના પર અમરિંદર સિંહે કહ્યું, 'દુનિયાએ મારી સાથે થયેલ અપમાન જોયું છે. તેમ છતાં, હરીશ રાવત તેની સામે દાવા કરી રહ્યા છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત (Harish Rawat) વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. અમરિંદર સિંહે હરીશ રાવતના તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે પંજાબમાં બેકફૂટ પર છે.
અમરિંદર સિંહના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હું મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપું તેના ત્રણ સપ્તાહ પહેલા, મેં સોનિયા ગાંધીને રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમણે મને પદ પર રહેવા કહ્યું હતું.
હરીશ રાવતે કહ્યું હતું કે કોંગ્રેસ કેપ્ટનનું સૌથી વધુ સન્માન કરે છે. તેના પર અમરિંદર સિંહે કહ્યું, દુનિયાએ મારું અપમાન જોયું છે. તેમ છતા હરીશ રાવત તેની સામે દાવા કરી રહ્યા છે. ટીએલપી મીટિંગના થોડા કલાકો પહેલા મારે રાજીનામું આપવું પડ્યું. જો તે અપમાન ન હતું તો પછી શું હતું ? હરીશ રાવતે એકવાર મારી જગ્યાએ ઉભા રહીને જોવું જોઈએ. પછી તેઓ મારી સાથે થયેલા વ્યવહારનો અહેસાસ કરશે.
હરીશ રાવતે કેપ્ટન પર નિશાન તાક્યું
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ યાદ કર્યું કે રાવતે પોતે તેમને મળ્યા બાદ જાહેરમાં કહ્યું હતું કે તેઓ 2017 ની ચૂંટણીના વચનો પર તેમની સરકારના ટ્રેક રેકોર્ડથી સંતુષ્ટ છે. પંજાબના કોંગ્રેસ પ્રભારીએ 1 સપ્ટેમ્બરે સ્પષ્ટપણે કહ્યું હતું કે 2022 ની વિધાનસભાની ચૂંટણી તેમના (કેપ્ટન અમરિંદર સિંહ) નેતૃત્વ હેઠળ લડવામાં આવશે અને હાઈકમાન્ડનો તેમને બદલવાનો કોઈ ઈરાદો નથી. કેપ્ટને કહ્યું કે જો રાવતે આવું કહ્યું છે, તો હવે તે કેવી રીતે દાવો કરી શકે છે કે પાર્ટી નેતૃત્વ તેમનાથી સંતુષ્ટ નથી અને જો તે ન હતું, તો તેઓએ મને ઇરાદાપૂર્વક અંધારામાં કેમ રાખ્યો ?
‘અમરિંદર સિંહ અમુક પ્રકારના દબાણમાં છે’, રાવતના નિવેદન પર કેપ્ટને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ માત્ર કોંગ્રેસ પ્રત્યેની તેમની વફાદારીના દબાણ હેઠળ હતા. જેના કારણે તે સતત અપમાન સહન કરતા રહ્યા. ભૂતપૂર્વ CM એ કહ્યું, જો કોંગ્રેસ મને અપમાનિત કરવા માંગતી ન હતી, તો નવજોત સિંહ સિદ્ધુને કયા આધારે મહિનાઓ સુધી મને અપમાનિત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. સિદ્ધુ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સતત મારી ટીકા કરતા રહ્યા.
કોંગ્રેસ પંજાબમાં પોતાનો કેપ્ટન ગુમાવવા માંગતી નથી: રાવત
આ પહેલા પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે કહ્યું હતું કે કોંગ્રેસ હજુ પણ તેના કેપ્ટનને ગુમાવવા માંગતી નથી. તમામ કડવા શબ્દો સાંભળ્યા બાદ પણ પાર્ટીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ માટે તમામ રસ્તા ખોલી દીધા છે. કેપ્ટને ફરી એકવાર પોતાના દૃષ્ટિકોણ પર વિચાર કરવો જોઈએ અને પંજાબ વિરોધી ભાજપને ટેકો ન આપવો જોઈએ.