Azadi Ka Amrit Mahotsav : PM મોદીએ સિક્કાઓની ખાસ સીરિઝ લોન્ચ કરી, આંખોથી નહી જોઈ શકનારા પણ ઓળખી શકશે
પીએમ મોદી (pm modi)એ રૂપિયા. 1, 2, 5, 10 અને રૂપિયા 20ની વિશેષ સીરિઝો લોન્ચ કરી છે. આ સિક્કાઓની વિશેષતા એ છે કે જેઓ આંખે જોઈ શકતા નથી તેઓ પણ આ સિક્કાઓને સરળતાથી ઓળખી શકશે.
Azadi Ka Amrit Mahotsav : આજથી આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)નો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમની શરૂઆત કરતા પીએમ મોદીએ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાની સ્પેશિયલ સિરીઝ લૉન્ચ કરી છે. આ સિક્કાઓની વિશેષતા એ છે કે, જેઓ આંખે જોઈ શકતા નથી તેઓ પણ આ સિક્કાઓને સરળતાથી ઓળખી શકે છે. નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિક્કાઓની નવી સીરિઝ અંગે પીએમ મોદી (pm modi)એ કહ્યું કે, આ સિક્કા અમૃતકાળની યાદ અપાવશે અને લોકોને રાષ્ટ્રના વિકાસ તરફ પ્રેરિત કરશે.
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આ માત્ર આઝાદીના 75 વર્ષ પૂરા થવાનો જશ્ન નથી. આ સમય છે કે આપણે સ્વતંત્ર ભારતના સપનાની ઉજવણી કરીએ. ચાલો આપણે એવા ભારતનું નિર્માણ કરીએ જેનું સ્વપ્ન દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયું હતું.
આઝાદીમાં દરેકે મોટું યોગદાન આપ્યું છે
આઝાદીની લાંબી લડતમાં જેણે પણ ભાગ લીધો, આ ચળવળમાં એક અલગ જ પરિમાણ ઉમેર્યું, તેની ઉર્જા વધારી. કોઈએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો, કોઈએ શસ્ત્રોનો માર્ગ પસંદ કર્યો, કોઈએ શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો, તો કોઈએ બૌદ્ધિક સ્વતંત્રતાની જ્યોત પ્રજ્વલિત કરવામાં મદદ કરી.
ગરીબોને પણ સન્માન સાથે જીવવાની તક મળી
તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાને ગરીબોને સન્માન સાથે જીવવાની તક આપી. પાકું મકાન, વીજળી, ગેસ, પાણી, મફત સારવાર જેવી સુવિધાઓથી ગરીબોનું માન-સન્માન વધ્યું, સુવિધાઓ વધી.
શાસનની પદ્ધતિ હવે જાહેર કેન્દ્રીત બની ગઈ છે
પોતાના કાર્યકાળનું વર્ણન કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતે છેલ્લા આઠ વર્ષમાં અલગ-અલગ આયામો પર પણ કામ કર્યું છે. આ સમય દરમિયાન દેશમાં જનભાગીદારી વધી છે, તેઓએ દેશના વિકાસને વેગ આપ્યો છે, દેશના સૌથી ગરીબ નાગરિકોને સશક્ત કર્યા છે. પરંતુ આજે 21મી સદીનું ભારત લોકો-કેન્દ્રિત શાસનના અભિગમ સાથે આગળ વધી રહ્યું છે.
GSTએ હવે કેન્દ્ર અને રાજ્યના ઘણા ટેક્સની જગ્યા લઈ લીધી છે. આ સરળીકરણનું પરિણામ પણ દેશ જોઈ રહ્યો છે. હવે દર મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને વટાવવું સામાન્ય બની ગયું છે.