Valsad : પીએમ મોદીના ગુજરાત પ્રવાસ વખતે વલસાડ જિલ્લામાં 8 પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થશે
આરોગ્ય(Health ) વિભાગના પીઆઈયુ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 6 અને કપરાડા તાલુકામાં 2 પેટા આરોગ્ય કેન્દ્ર મળી કુલ 8 પેટા આરોગ્ય કેન્દ્રનું રૂ. 1.60 કરોડના ખર્ચે બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે
નવસારીના (Navsari ) ચીખલી તાલુકાના ખૂડવેલ ગામમાં તા. 10 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના(PM Narendra Modi ) સંભવિત કાર્યક્રમમાં વલસાડ(Valsad ) જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસના વિવિધ કામો પૈકી 764.24 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂ.200.58 કરોડના કામોનું ખાતમૂર્હુત કરાશે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેવાડાના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થઈ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા આદિવાસી એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં 8 પેટા આરોગ્ય કેન્દ્રનું રૂ. 1.60 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવનાર છે.
રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગામે ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019-20ના બજેટમાં નવા પેટા આરોગ્ય કેન્દ્ર અંગે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા આરોગ્ય વિભાગના પીઆઈયુ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 6 અને કપરાડા તાલુકામાં 2 પેટા આરોગ્ય કેન્દ્ર મળી કુલ 8 પેટા આરોગ્ય કેન્દ્રનું રૂ. 1.60 કરોડના ખર્ચે બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે માટે કંપાઉન્ડ વોલ, પેવર બ્લોક વાળો રોડ અને વીજળી પણ પુરી પડાઈ છે. આ પેટા આરોગ્ય કેન્દ્ર થકી અંતરિયાળ વિસ્તારોમાં લોકોની નિયમિત આરોગ્ય તપાસ અને મફત તબીબી સારવાર થતા મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટશે.
આ 8 ગામના સીધો ફાયદો થશે
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બારોલિયા, બારસોલ, ફુલવાડી, માકડબન, મરઘમાળ અને નાની વહિયાળમાં જ્યારે કપરાડા તાલુકામાં કાકડપોર અને ઓઝરમાં પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જેથી આ 8 ગામ અને આસપાસના ગામોની પ્રજાને આરોગ્યલક્ષી લાભ મળશે. લાંબા સમયથી આ ગામોમાં પ્રાથમિક સુવિધા બાબતે ગ્રામજનો દ્વારા આરોગ્ય કેન્દ્રોની માંગણી કરવામાં આવતી હતી. જે હવે પરિપૂર્ણ થશે.
પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ
આ પેટા આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભા બહેનો માટે લેબર રૂમ, વિવિધ સેમ્પલોના ટેસ્ટિંગ માટે એક્ઝામિનેશન રૂમ, આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સાથે આવતા તેમના સગા સંબંધીઓ માટે વેઈટિંગ એરિયા તેમજ આ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ માટે રહેણાંક જગ્યા પણ બનાવવામાં આવી છે.