સરકારી કર્મચારીઓ માટે લાઈફ ટાઈમનો નવો નિયમ! મેડિકલ લાભ માટે માતા-પિતા કે સાસુ-સસરામાંથી કોઈ એકને જ પસંદ કરવાની મળશે તક
કેન્દ્ર સરકારના પુરુષ કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય મંત્રાલયે સીજીએચએસ (CGHS) યોજના હેઠળ એક મોટું સ્પષ્ટીકરણ જારી કર્યું છે. હવેથી કર્મચારીઓ મેડિકલ સુવિધાઓ માટે માતા-પિતા અથવા સાસુ-સસરામાંથી કોઈ એકને જ આશ્રિત પસંદ કરી શકશે અને આ નિર્ણય જીવનભર માટે કાયમી રહેશે.

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 13 મે 2026 ના રોજ જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ (OM) માં સીજીએચએસ (CGHS) નિયમોને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નવા સ્પષ્ટીકરણ મુજબ, હવેથી પુરુષ કેન્દ્રીય કર્મચારીઓ મફત મેડિકલ સુવિધાઓનો લાભ આપવા માટે પોતાના માતા-પિતા અથવા સાસુ-સસરામાંથી કોઈ એક પક્ષને જ આશ્રિત (Dependent) તરીકે પસંદ કરી શકશે. સૌથી મોટી વાત એ છે કે આ વિકલ્પ જીવનમાં માત્ર એક જ વાર મળશે.
પછીથી નિર્ણય બદલવાનો કોઈ મોકો નહીં મળે
સરકારે આ નિયમમાં એક મોટો વળાંક આપતા સ્પષ્ટ કર્યું છે કે એકવાર વિકલ્પ પસંદ કર્યા પછી ભવિષ્યમાં ગમે તેવી પરિસ્થિતિ બદલાય તો પણ આ નિર્ણય બદલી શકાશે નહીં. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીએ શરૂઆતમાં પોતાના માતા-પિતાને સીજીએચએસ (CGHS) કાર્ડમાં આશ્રિત તરીકે જોડ્યા છે, તો પાછળથી માતા-પિતાના અવસાન બાદ પણ તે સાસુ-સસરાનું નામ ઉમેરી શકશે નહીં. તેવી જ રીતે જો શરૂઆતમાં સાસુ-સસરાની પસંદગી કરવામાં આવી હશે, તો પાછળથી માતા-પિતાનું નામ ક્યારેય જોડી શકાશે નહીં.
આ સુવિધા પહેલાથી જ અમલમાં હતી
મંત્રાલયે જણાવ્યું છે કે 26 જુલાઈ 2023 ના આદેશ દ્વારા સીજીએચએસ (CGHS) ના લાભાર્થીઓને આ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેને બાદમાં 28 માર્ચ 2024 ના રોજ ‘સેન્ટ્રલ સર્વિસીસ (મેડિકલ અટેન્ડન્સ) રૂલ્સ, 1944’ હેઠળ આવતા કર્મચારીઓ માટે પણ લાગુ કરાયો હતો. આ નવો આદેશ માત્ર નિયમોને વધુ સ્પષ્ટ કરવા અને તેનું કડક પાલન કરાવવા માટે જારી કરાયો છે.
સીજીએચએસ (CGHS) માં આશ્રિતોની વ્યાખ્યા અને કડક નિયમો:
આ યોજના હેઠળ પરિવારના સભ્યોમાં કોનો સમાવેશ થઈ શકે તેના નિયમો નીચે મુજબ છે:
- માતા-પિતા અથવા સાસુ-સસરા: આ બંનેમાંથી માત્ર કોઈ એકને જ પસંદ કરવાના રહેશે.
- બહેન અને દીકરી: વિધવા બહેન, વિધવા દીકરી તેમજ છૂટાછેડા લીધેલી અથવા અલગ રહેતી આશ્રિત દીકરીઓ અને તેમના બાળકો.
- ભાઈ-બહેન અને બાળકો: સગા અથવા સાવકા બાળકો તેમજ સગીર વયના ભાઈ-બહેન.
- દીકરા અને દીકરી માટે ઉંમર મર્યાદા: દીકરાઓને ૨૫ વર્ષની ઉંમર અથવા લગ્ન થાય (જે વહેલું હોય ત્યાં સુધી) અને દીકરીઓને તેમના લગ્ન થાય ત્યાં સુધી જ આ લાભ મળશે.
કોને ગણવામાં આવશે ‘આશ્રિત’?
નિયમો અનુસાર, પરિવારના એવા જ સભ્યને આશ્રિત ગણવામાં આવશે જેની તમામ સ્ત્રોતમાંથી થતી માસિક આવક 9000 રૂપિયા + મોંઘવારી ભથ્થા (DA) કરતાં ઓછી હોય. જોકે, આ આવકની મર્યાદા મુખ્ય કાર્ડધારક કર્મચારીના પતિ કે પત્ની પર લાગુ પડતી નથી. સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને આ નિયમનું કડકાઈથી પાલન કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
સરકારના આ સ્પષ્ટીકરણ બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓએ પોતાના પરિવારના મેડિકલ આયોજન માટે ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવો પડશે, કારણ કે એક નાની ભૂલ ભવિષ્યમાં સાસુ-સસરા અથવા માતા-પિતાને આ મફત સ્વાસ્થ્ય લાભથી વંચિત રાખી શકે છે.
