લાલુપ્રસાદને એર એમ્બ્યુલન્સથી દિલ્હી AIIMSમાં ખસેડાયા, તેજસ્વીએ કહ્યું- શરીરમાં નથી થઈ રહ્યું કોઈ હલનચલન
તેજસ્વી યાદવે કહ્યું, 'જો પિતાની તબિયત પહેલા કરતા સારી થશે તો તેમને સિંગાપોર લઈ જવામાં આવશે. આ અંગે તબીબો સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાં તેની કિડની ટ્રાન્સપ્લાન્ટની ચર્ચા ચાલી રહી છે.
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને (Lalu Prasad) બુધવારે રાત્રે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી AIIMSમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી તેઓ પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ના થતાં તેમને એઈમ્સમાં (AIIMS) ખસેડવામાં આવ્યા હતા. લાલુની સાથે તેમના નાના પુત્ર તેજસ્વી યાદવ (Tejaswi Yadav) અને લાલુ પ્રસાદના પત્ની રાબડી દેવી (Rabadevi) પણ પહોંચ્યા છે. લાલુના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા તેજસ્વી યાદવે કહ્યું, ‘તેમના શરીરમાં કોઈપણ પ્રકારે હલનચલન નથી. સાથે જ રાબડી દેવીએ કહ્યું, ‘જે લોકો લાલુ પ્રસાદને પ્રેમ કરે છે તેઓ નિરાશ ના થાય. તેમની તબિયત પહેલા કરતા સારી છે. દરેક વ્યક્તિ લાલુ પ્રસાદ માટે પ્રાર્થના કરે.
મીડિયા સાથે વાત કરતા લાલુના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું, ‘તેમને પટનાથી દિલ્હી લાવવામાં આવ્યા છે કારણ કે એઈમ્સના ડોક્ટરો તેમની બીમારીનો ઈતિહાસ પહેલાથી જ જાણે છે. પટનામાં ઘરે પડી જવાના કારણે શરીરમાં ત્રણ ફ્રેક્ચર થયા હતા, જેના કારણે તેના શરીર સ્થિર બની ગયુ છે. શરીરમાં કોઈપણ પ્રકારની હલનચલન થતી નથી. તેજસ્વીએ કહ્યું, પિતા લાલુને ઘણી દવાઓ આપવામાં આવી રહી છે. હવે એઈમ્સમાં તેમનું સંપૂર્ણ ચેકઅપ થશે. ત્યાર બાદ ડોક્ટરોની ટીમ સારવારમાં આગળ કેવી રીતે વધવું તે નક્કી કરશે.
ડૉક્ટર સાથે વાત કર્યા બાદ સિંગાપોર લઈ જશે
તેજસ્વી યાદવે કહ્યું, ‘જો પિતાની તબિયત પહેલા કરતા સારી થશે તો તેમને સિંગાપોર લઈ જવામાં આવશે. આ અંગે તબીબો સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાં તેની કિડની ટ્રાન્સપ્લાન્ટની ચર્ચા ચાલી રહી છે. તેજસ્વીએ કહ્યું કે, તેમનું ક્રિએટિનાઇન 4 ની આસપાસ હતું, જે હવે વધીને 6 થી ઉપર પહોંચી ગયું છે. છાતીમાં પણ તકલીફ હતી. બે-ત્રણ દિવસથી તાવ રહ્યો હતો. દવાઓના વધુ પડતા ડોઝને કારણે પણ આ સ્થિતિ જોવા મળી છે. એટલા માટે અચાનક તેમને ઈમરજન્સીમાં દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા છે. હાલ સ્થિતિ સારી છે.
લાલુ સીડી પરથી પડી ગયા હતા
આપને જણાવી દઈએ કે, RJD સુપ્રીમો લાલુ યાદવ રવિવારે મોડી સાંજે પત્ની રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાન પર પોતાના રૂમની સીડી ચડતી વખતે પડી ગયા હતા, જેના કારણે તેમના જમણા ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પીઠમાં પણ ઘણી ઈજા થઈ હતી. અસ્થિભંગની સારવાર બાદ તેઓ રાબડીના ઘરે આવ્યા હતા, પરંતુ રવિવારે રાત્રે જ તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા. જ્યારે સમસ્યા ઘણી વધી ગઈ ત્યારે તેને સોમવારે સવારે 3:30 વાગ્યે પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
વડાપ્રધાને તેજસ્વીને ફોન કરી પુછ્યાં હાલચાલ
મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને ફોન કરીને લાલુપ્રસાદની તબિયતના ખબર પુછ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે અને મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પણ પારસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને લાલુની તબિયત વિશે પૂછપરછ કરી હતી.