આતંકવાદીઓએ ગોળીઓ મારી, ભારતે ચીંથરા ઉખેડી નાખ્યાં, જાણો ઓપરેશન સિંદૂરમાં કયા હથિયારનો કરાયો ઉપયોગ
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલા સ્વરૂપ જવાબ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને આપ્યો. આ ઓપરેશનમાં, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ મળીને 25 મિનિટમાં આંતકવાદીઓના 9 કેમ્પના 21 સ્થળોએ હુમલો કર્યો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.

ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઓપરેશન સિંદૂર થકી બદલો લીધો છે. ભારતે પાકિસ્તાનને એવો પાઠ ભણાવ્યો છે કે તે વર્ષો સુધી યાદ રાખશે. બહાદુર ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કર્યો છે અને 100 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ હુમલામાં ભારતે એવા હથિયારોનો ઉપયોગ કર્યો કે આતંકવાદીના ચીંથડા ઉડી ગયા છે.
આ હુમલાઓમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ત્રણેય પાંખના સ્ટ્રાઇક હથિયાર પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લોઇટરિંગ શસ્ત્રોનો પણ સમાવેશ થતો હતો. ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હુમલા અંગે ઇનપુટ આપ્યા હતા. આ હુમલાઓ ભારતીય ભૂમિથી પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પ ઉપર કરવામાં આવ્યા હતા.
આ મિસાઈલનો કરાયો ઉપયોગ
ભારતે સ્કેલ્પ મિસાઈલથી પાકિસ્તાનમાં આતંકી કેમ્પ પર હુમલો કર્યો. આ મિસાઇલ રાફેલ વિમાનથી છોડવામાં આવી હતી. સ્કેલ્પ મિસાઇલની ગતિ મેક પોઈન્ટ 8 છે. તે 560-600 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે. તે દુશ્મનના રડારને સફળતાપૂર્વક ટાળવામાં સક્ષમ છે. સ્કેલ્પ મિસાઇલ ‘કિલ વેબ’ વ્યૂહરચનાનો એક ભાગ છે. ભારત પાસે 300 થી વધુ સ્કેલ્પ મિસાઇલો છે.
આ હુમલામાં ભારતે સ્ટેન્ડ-ઓફ શસ્ત્રો, ડ્રોન અને દારૂગોળો તેમજ અન્ય શસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે.
પહેલગામ હુમલાનો બદલો
પહેલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી, પ્રતિશોધ સ્વરૂપ કરાયેલા આતંકી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ, આ પગલાં લેવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે એ હકીકત પ્રત્યે પ્રતિબદ્ધ છીએ કે હુમલો કરનારા લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે. આ કાર્યવાહી પછી તરત જ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોશિયલ મીડિયા X પર, ભારત માતા કી જય લખીને પોસ્ટ કર્યું હતું.
25 મિનિટમાં 21 સ્થળો પર હુમલો
સેનાના જણાવ્યા અનુસાર, ભારતે આજે 7 મેને બુધવારની મધ્યરાત્રીના 1:05 વાગ્યે ઓપરેશન સિંદૂરના નામે આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો.ઓપરેશન સિંદૂરની કામગીરી મધ્યરાત્રીના 1.30 વાગ્યે સમાપ્ત થઈ હતી. આ 25 મિનિટમાં પાકિસ્તાનમાં 9 આતંકી કેમ્પના 21 સ્થળોએ હુમલા કરવામાં આવ્યા. આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતની આ સ્ટ્રાઈકમાં આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર પણ બરબાદ થઈ ગયો. તેમના પરિવારના 10 સભ્યો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
લોકોને ધર્મ અને નામ પૂછ્યા બાદ ગોળી મારી દેવામાં આવી
પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ, પહેલગામના બૈસરનમાં લોકોને તેમના નામ અને ધર્મ પૂછ્યા પછી ગોળી મારી દીધી હતી. જે લોકો પર ગોળીબાર થયો હતો તે પ્રવાસીઓ હતા. આ હુમલામાં ખાસ કરીને પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ભારતમાં ગુસ્સાનું વાતાવરણ હતું. પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.