Breaking News : 28 વર્ષ બાદ ફરી ખુલી વંધામા હત્યાકાંડની ફાઇલ, 23 કાશ્મીરી પંડિતોની સામૂહિક હત્યાની થશે તપાસ
જમ્મુ-કાશ્મીરના વંધામા ગામમાં 1998માં 23 કાશ્મીરી પંડિતોની હત્યાનો કેસ 28 વર્ષ બાદ ફરી તપાસ હેઠળ છે. SIA દ્વારા આ જૂના હત્યાકાંડની તપાસ શરૂ કરાઈ છે, જે અગાઉ અનટ્રેસ્ડ જાહેર કરાયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના સમયગાળા દરમિયાન કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી કરવામાં આવેલી હત્યાઓના જૂના કેસ હવે ફરી તપાસ હેઠળ આવી રહ્યા છે. આ જ કડીમાં વર્ષ 1998ના વંધામા હત્યાકાંડની તપાસ પણ લગભગ 28 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. 25 જાન્યુઆરી, 1998ની રાત્રે ગાંદરબલના વંધામા ગામમાં આતંકવાદીઓએ એક જ રાત્રે 23 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.
હત્યાકાંડના બીજા દિવસે, એટલે કે 26 જાન્યુઆરી, 1998ના રોજ ગાંદરબલ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 22/1998 નોંધવામાં આવી હતી. કેસમાં હત્યા, આગચંપી, ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવા સહિત હથિયારો સંબંધિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, લાંબી તપાસ છતાં હત્યાકાંડના આરોપીઓને કાયદાની અદાલત સુધી લઈ જવામાં સફળતા મળી નહોતી અને બાદમાં કેસને અનટ્રેસ્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
આર્મી યુનિફોર્મમાં ગામમાં પહોંચ્યા હતા આતંકવાદીઓ
અહેવાલો અનુસાર, ૨૫ જાન્યુઆરીની રાત્રે આતંકવાદીઓ આર્મી યુનિફોર્મ પહેરીને વંધામા ગામમાં પહોંચ્યા હતા. તેઓ કાશ્મીરી પંડિત પરિવારોના ઘરોમાં ઘૂસ્યા અને લોકોને બહાર કાઢ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 મહિલાઓ અને 4 બાળકો સહિત કુલ 23 લોકોનાં મોત થયા હતા.
હુમલા બાદ કેટલાક ઘરો તેમજ એક મંદિરને આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ સર્જી દીધું હતું.
હત્યાકાંડ પાછળ કોણ હતું, તેને લઈને અલગ-અલગ દાવા
વંધામા હત્યાકાંડની તપાસ દરમિયાન હુમલા પાછળ કયા આતંકવાદી સંગઠનનો હાથ હતો તે અંગે અલગ-અલગ દાવા સામે આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં ઇન્તેકામ-ઉલ-મુસ્લિમૂન નામના સંગઠન સાથે કથિત રીતે જોડાણ તરફ ઈશારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને CIDના કેટલાક રેકોર્ડમાં હરકત-ઉલ-અંસાર સાથે જોડાયેલા આતંકવાદીઓના નામ સામે આવ્યા હતા.
વર્ષ 1998માં સફાપોરા વિસ્તારમાં થયેલા એક એન્કાઉન્ટર બાદ એક ઘાયલ આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ CIDના એક પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂછપરછ દરમિયાન તેણે વંધામા હત્યાકાંડમાં હરકત-ઉલ-અંસારના 21 આતંકવાદીઓની સંડોવણી અંગે માહિતી આપી હતી. આ સાથે તેમના કમાન્ડર તરીકે કેપ્ટન શેર ખાનનું નામ પણ સામે આવ્યું હતું.
જોકે, કાશ્મીરી પંડિત સંગઠનોએ આ દાવાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. સંગઠનોનો સવાલ હતો કે જો તપાસ એજન્સીઓ પાસે હત્યાકાંડમાં સામેલ હોવાનો દાવો કરાયેલા લોકો અંગે માહિતી હતી, તો પછી FIR અને તપાસને આગળ કેમ લઈ જવાઈ નહીં?
15 જૂન, 1998ના રોજ કેસ અનટ્રેસ્ડ જાહેર થયો
જૂના પોલીસ અને CID રેકોર્ડ મુજબ, વંધામા હત્યાકાંડનો કેસ 15 જૂન, 1998ના રોજ અનટ્રેસ્ડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના એક વર્ઝન મુજબ, હુમલામાં સામેલ હોવાનો આરોપ ધરાવતા કેટલાક વિદેશી આતંકવાદીઓ બાદમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
જોકે, આ દાવા છતાં વંધામા હત્યાકાંડનો કોઈ આરોપી ક્યારેય કોર્ટ સુધી પહોંચ્યો નહોતો. આ કારણોસર આ કેસ વર્ષોથી અનેક સવાલો અને વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે.
2012માં ફરી ઉઠી હતી તપાસની માંગ
વર્ષ ૨૦૧૨માં CIDના કેટલાક દસ્તાવેજો સામે આવ્યા બાદ વંધામા હત્યાકાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યો હતો. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ કેસની સ્વતંત્ર અને નવા સિરેથી તપાસ કરવાની માંગ કરી હતી.
સંગઠને ખાસ કરીને 17 ફેબ્રુઆરી, 1998ના સફાપોરા એન્કાઉન્ટર અને તેમાં પકડાયેલા કથિત આતંકવાદીના નિવેદન અંગે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ એવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો કે તપાસ રેકોર્ડમાં જે આતંકવાદીઓને વંધામા હત્યાકાંડ સાથે જોડવામાં આવ્યા હતા, તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કેમ થઈ નહોતી.
28 વર્ષ બાદ SIAની એન્ટ્રી
હવે વર્ષ 2026માં જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ આ જૂના કેસની ફરી તપાસ હાથ ધરી છે. આતંકવાદના સમયગાળા દરમિયાન કાશ્મીરી પંડિતોને નિશાન બનાવી કરવામાં આવેલી અન્ય હત્યાઓના કેસોની પણ ફરી તપાસ કરવામાં આવી રહી છે. તેમાં સરલા ભટ, સર્વાનંદ કૌલ પ્રેમી, ટીકા લાલ ટપલૂ અને ન્યાયાધીશ નીલકંઠ ગંજૂ જેવા કેસોનો સમાવેશ થાય છે.
SIA દ્વારા સરલા ભટ હત્યા કેસમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ઓગસ્ટ 2026માં સર્વાનંદ કૌલ પ્રેમી અને તેમના પુત્રની હત્યાના કેસમાં પણ તપાસ તથા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
જૂના રેકોર્ડ સાથે નવા લીડ્સની પણ થશે તપાસ
વંધામા કેસમાં SIA હવે લગભગ ત્રણ દાયકાના પોલીસ રેકોર્ડ, કેસ ડાયરી અને ઉપલબ્ધ પુરાવાઓની ફરીથી તપાસ કરશે. તપાસ દરમિયાન અગાઉ નામ સામે આવેલા આતંકવાદીઓની ભૂમિકા અંગે ફરીથી ચકાસણી કરવામાં આવશે.
આ ઉપરાંત હુમલાખોરોને કોઈ સ્થાનિક વ્યક્તિ અથવા ઓવરગ્રાઉન્ડ વર્કરે મદદ કરી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ થઈ શકે છે. તપાસ એજન્સી જૂના રેકોર્ડમાં રહેલા સંકેતોની સાથે નવા પુરાવા અથવા લીડ્સ મળી શકે છે કે કેમ તે પણ તપાસશે.
વંધામા હત્યાકાંડની FIR નંબર 22/1998 હવે ફરી તપાસ એજન્સીના ધ્યાનમાં આવી છે. લગભગ 28 વર્ષથી ન્યાયની રાહ જોઈ રહેલા આ કેસમાં નવી તપાસથી ફરી આશા જાગી છે. હવે જોવાનું એ રહેશે કે જૂના રેકોર્ડ અને નવા પુરાવાઓની તપાસ બાદ 25 જાન્યુઆરી, 1998ની એ રાત્રે 23 કાશ્મીરી પંડિતોની હત્યા પાછળ કોણ જવાબદાર હતું તે અંગે કોઈ નક્કર કડી સામે આવે છે કે નહીં.
એન્ટિલિયામાં સુરક્ષા ગાર્ડનો પગાર કેટલો ? આંકડો જાણીને તમને નવાઈ લાગશે!
