Kalyan Singh Funeral: બપોરે 2 વાગ્યે નરોરા ઘાટ પર કરાશે કલ્યાણ સિંહ અંતિમ સંસ્કાર, અમિત શાહ, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ રહેશે ઉપસ્થિત
ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રિય રક્ષા પ્રધાન રાજનાથસિંહ, ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતી સહીતના નેતાઓ રહેશે ઉપસ્થિત
ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહના (Kalyan Singh) આજે સોમવાર 23 ઓગસ્ટના બપોરે 2 વાગ્યે નરોરાના ગંગા ઘાટ પર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહ અલીગઢના અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમથી કલ્યાણસિંહના વતન મરહૌલી ખાતે લઈ જવાશે. આ પછી, તેમની અંતિમ યાત્રા મધરોલીથી બપોરે 2 વાગ્યે નરોરા જવા શરૂ થશે.
ઉતર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ સહિત ભાજપના અન્ય નેતાઓ કલ્યાણસિંહની અંતિમ સંસ્કાર વિધીમાં હાજરી આપશે.
ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નિધન અંગે આજે 23 ઓગસ્ટે ઉતરપ્રદેશમાં રજા જાહેર કરવામાં આવી છે. શનિવારે જ સમગ્ર રાજ્યમાં બે દિવસનો રાજકીય શોક અને એક દિવસની જાહેર રજાની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 89 વર્ષની ઉંમરે યુપીના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહનું 21 ઓગસ્ટને શનિવારે રાત્રે 9.15 વાગ્યે નિધન થયું હતું. લાંબી બીમારીના કારણે તેમને લખનૌની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કલ્યાણ સિંહના અવસાનને કારણે ભાજપે ત્રણ દિવસ સુધી ઉતરપ્રદેશમાં તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા હતા.
યુપીમાં આજે શાળા-કચેરી બંધ આજે 23 ઓગસ્ટના રોજ જાહેર રજાના કારણે રાજ્યભરમાં શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રહેશે. યુપી સરકાર દ્વારા આ અંગેની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી છે. કલ્યાણ સિંહ ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. તેઓ ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન હતા અને રાજસ્થાનના રાજ્યપાલપદે પણ રહી ચૂક્યા છે. તેમના નિધન પર, યુપીમાં બે દિવસનો રાજકીય શોક અને એક દિવસની જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ રાજસ્થાનના રાજ્યપાલ રહેલા કલ્યાણ સિંહના નિધન અંગે રાજસ્થાન પ્રધાનમંડળની બેઠક બોલાવી હતી અને બેઠકમાં કલ્યાણસિંહના નિધન અંગે શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. કલ્યાણ સિંહનો પાર્થિવદેહ રવિવારે સાંજે 6 વાગ્યે લખનઉથી અલીગઢના અહિલ્યાબાઈ હોલકર સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન યોગી આદિત્યનાથ પણ તેમની સાથે સ્થળ પર હાજર હતા. ગઈકાલ રવિવાર 22 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનૌ પહોંચ્યા હતા અને યુપીના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.