Jammu-Kashmir: જમ્મુમાં વિસ્ફોટ બાદ NIA એક્શનમાં, ભારત જોડો યાત્રા પર આપ્યું એલર્ટ
જમ્મુ શહેરની બહારના એક વ્યસ્ત વિસ્તારમાં બે વિસ્ફોટોથી નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસને શંકા છે કે નરવાલ ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં રિપેરિંગ શોપમાં પાર્ક કરેલી SUV અને નજીકના સ્ક્રેપ યાર્ડમાં એક વાહનને બ્લાસ્ટ કરવા માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરના નરવાલ ઔદ્યોગિક વિસ્તારમાં શનિવારના રોજ થયેલા બે બોમ્બ વિસ્ફોટ બાદ રવિવારે (22 જાન્યુઆરી) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમાચાર એજન્સી ANI દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ બે બ્લાસ્ટમાં નવ લોકો ઘાયલ થયા હતા. આર્મી અને સિક્યોરિટી ઇમ્પેક્ટ એનાલિસિસ (SIS)ની ટીમોએ શનિવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. NIAની ટીમે પણ જમ્મુમાં બ્લાસ્ટને લઈને તપાસ હાથ ધરી હતી અને સેમ્પલ પણ એકત્રિત કર્યા હતા.
વિસ્ફોટ બાદ તંત્ર અલર્ટ
આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ અને આગામી ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે NIAએ રવિવારે સવારે વિસ્ફોટના સ્થળોની મુલાકાત લીધી હતી અને ફેડરલ એન્ટી-ટેરર એજન્સી આ કેસની સંપૂર્ણ તપાસ માટે હાથ ધરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સીના અધિકારીઓ એક કલાકથી વધુ સમય સુધી વિસ્ફોટના સ્થળે રોકાયા અને સેમ્પલ એકત્ર કર્યા.
અનેક વિસ્તારમાં ઘેરાબંધી
અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ સતત બીજા દિવસે પણ નિરીક્ષણ માટે વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે સુરક્ષાના દૃષ્ટિકોણથી વિસ્તારની ઘેરાબંધી હજુ પણ અકબંધ છે. સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટ કર્યું કે સુરક્ષા એજન્સીઓના મૂલ્યાંકનના આધારે પ્રવર્તમાન આંતરિક સ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સંયુક્ત ગુપ્તચર અને સુરક્ષા બેઠક યોજાઈ હતી.
26મી જાન્યુઆરીને લઈને જમ્મુ પોલીસ એલર્ટ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક વિશેષ ટીમે રવિવારે અહીં બે બ્લાસ્ટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. શનિવારે જમ્મુ શહેરની બહારના એક વ્યસ્ત વિસ્તારમાં બે વિસ્ફોટોથી નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસને શંકા છે કે નરવાલ ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં રિપેરિંગ શોપમાં પાર્ક કરેલી SUV અને નજીકના સ્ક્રેપ યાર્ડમાં એક વાહનને બ્લાસ્ટ કરવા માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, વિસ્ફોટ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો, જે હજુ પણ ચાલુ છે અને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. દરમિયાન સર્ચ ઓપરેશન હેઠળ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્ફોટમાં ઘાયલ નવ લોકો સારવાર હેઠળ છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ મામલે પણ પોલીસ તપાસ ચાલી રહી છે.