હવે જમ્મુના બજલતા ગામમાં થયો વિસ્ફોટ, 24 કલાકમાં ત્રીજી ઘટના
નરવાલના ટ્રાન્સપોર્ટ નગરમાં બે આતંકી વિસ્ફોટના 24 કલાકમાં જમ્મુના બજલટામાં અડધી રાત્રે એક ડમ્પરમાં વિસ્ફોટ થયો છે.
ભારત જોડો યાત્રા અને 26 જાન્યુઆરી પહેલા જાહેર કરાયેલ સુરક્ષા એલર્ટ છતાં 24 કલાકના સમયગાળામાં જમ્મુમાં ત્રણ બ્લાસ્ટ થયા છે. નરવાલના ટ્રાન્સપોર્ટ નગરમાં બે આતંકી વિસ્ફોટના 24 કલાકમાં જમ્મુના બજલતામાં અડધી રાત્રે એક ડમ્પરમાં વિસ્ફોટ થયો છે. ધડાકાને કારણે એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પહેલા નરવાલ વિસ્ફોટોમાં સાત લોકો ઘાયલ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે બજલતા ગામમાં થયેલા વિસ્ફોટમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.
ડમ્પરની યુરિયાની ટાંકી ફાટતાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. જમ્મુમાં મધરાત બાદ બ્લાસ્ટ થયો હતો. એક દિવસમાં આ ત્રીજો વિસ્ફોટ હતો. સિધ્રાના બજલતા વળાંક પર વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ, શનિવારે મધરાતે સુરિન્દર સિંહ તરીકે ઓળખાતા પોલીસ કોન્સ્ટેબલ સિધ્રા ચોક પર ફરજ પર હતા અને રેતી વહન કરી રહેલા ડમ્પર ટ્રકને ચેક કરવા માટે રોકાયા હતા. જ્યારે ટ્રક રોકાઈ ત્યારે ડમ્પર ટ્રકની યુરિયા ટાંકી (એન્જિનના પ્રદૂષકોને સાફ કરવા માટે એક ખાસ ટાંકી) ફાટતા પોલીસ કર્મચારીને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત હાલ સ્થિર છે.
પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે તે અકસ્માત નથી અને નગરોટા પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં 30 મિનિટના અંતરાલમાં બે આતંકવાદી વિસ્ફોટ થયા હતા. આ બ્લાસ્ટમાં સાત લોકો ઘાયલ થયા છે.
નરવાલ વિસ્તારમાં થયો હતો વિસ્ફોટ
જમ્મુના નરવાલ વિસ્તારમાં ગઈકાલ એટલે કે શનિવારે સવારે 2 વિસ્ફોટ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા હતી. અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ) મુકેશ સિંહે જણાવ્યું કે, વિસ્ફોટ જમ્મુ શહેરના નરવાલ વિસ્તારમાં થયા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને બ્લાસ્ટ ભીડભાડવાળી જગ્યાએ થયા હતા.