જમ્મુ કાશ્મીરના ડોડાના કાસ્તીગઢમાં સતત ચોથા દિવસે આતંકીઓ સાથે સેનાની અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. કાસ્તીગઢમાં અનેક આતંકી છુપાયા હોવાની આશંકા છે. જેના પગલે કાસ્તીગઢના જંગલોમાં સુરક્ષાદળોએ ઘેરાવો કર્યો છે અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કાશ્મીરના ડોડામાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરુદ્ધ અભિયાન તેજ બનાવ્યું છે. ડોડામાં છેલ્લા ચાર દિવસથી સૈનિકો આતંકવાદને ડામવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે.જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકીઓ વિરૂદ્ધ સેનાનું ફાઇનલ ઓપરેશન ચાલી રહ્યુ છે. સર્ચ ઓપરેશનમાં 7 હજાર સૈનિકો જોડાયા છે. તો 8 ડ્રોન, હેલિકોપ્ટર સહિત 40 સ્નિફર ડોગની મદદ લેવામાં આવી રહી છે.
આજે વહેલી સવારે સૈનિકોએ ડોડાના કાસ્તીગઢના ગાઢ જંગલોમાં આતંકીઓને ઘેરી લીધા હતા. મળતી માહિતી મુજબ કાસ્તીગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની ભારે અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. સમગ્ર વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ ગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં સવારે લગભગ 2 વાગ્યે થયું હતું. આતંકવાદીઓએ સુરક્ષા દળો દ્વારા સ્થાપિત અસ્થાયી સુરક્ષા કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી અને બંને તરફથી જવાબી હુમલાઓ કરવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને બંને પક્ષો વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. અત્યાર સુધીમાં, આ કામગીરીમાં, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ OGWsના નેટવર્ક સામે કાર્યવાહી કરતી વખતે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ડોડા જિલ્લામાં 12 જૂનથી સતત હુમલા થઈ રહ્યા છે. ચટરગાલા પાસ પર આતંકવાદી હુમલામાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા, ત્યારબાદ બીજા દિવસે ગંડોહમાં ગોળીબાર થયો હતો જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
26 જૂને જિલ્લાના ગંડોહ વિસ્તારમાં દિવસભર ચાલેલા ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે 9 જુલાઈના રોજ ગાધી ભગવા જંગલમાં વધુ એક એન્કાઉન્ટર થયું હતું. આ વર્ષની શરૂઆતથી જ જમ્મુ પ્રાંતના છ જિલ્લામાં લગભગ એક ડઝન આતંકવાદીઓ માર્યા ગયા છે.
Published On - 1:15 pm, Thu, 18 July 24