ઉત્તરાખંડમાં મેઘ તાંડવ ! ભારે વરસાદને પગલે અનેક ગામમાં પૂરની સ્થિતિ, વહિવટી તંત્ર એલર્ટ પર
સતત વરસાદને કારણે ઉત્તરાખંડમાં આવેલા પીલીભીતમાં સ્થિતિ વધુ ખરાબ છે. આ જિલ્લાના ઘણા ગામો પૂરની ચપેટમાં આવ્યા છે. દેવહા નદીનું પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જતા હાલ લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Flood Situation: ઉત્તરાખંડમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યુ છે. ભારે વરસાદને પગલે પીલીભીત અને શાહજહાંપુરમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. સાથે ઉત્તર પ્રદેશની રામગંગા અને કોસી નદીઓના પાણીમાં વધારો થયો છે. જેને કારણે આ નદીઓનુ પાણી છોડવાની ફરજ પડી છે. હાલ રામગંગા કિનારે આવેલા તમામ ગામોના લોકોને પોતાનું ઘર છોડીને સલામત સ્થળે જવા સચેત કરવામાં આવ્યા છે. બરેલી જિલ્લા વહીવટીતંત્ર (Bareli District) અનુસાર, બહેરીના લગભગ 25 ગામોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે જિલ્લાના મીરગંજ અને બહેરી વિસ્તારના 30 ગામો પૂરની ચપેટમાં આવ્યા છે.
આસમાની આફતથી લોકોને પારાવાર મુશ્કેલી
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના (Uttarakhand) પીલીભીતમાં સ્થિતિ વધુ ખરાબ છે. કારણ કે જિલ્લાના મોટા ભાગના ગામો પૂરની ચપેટમાં આવ્યા છે. અહીંની દેવહા નદીનું પાણી છોડવામાં આવતા આસપાસના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આસમાની આફતથી લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની ઇદગાહ ક્રોસિંગથી બરેલી હાઇવેને જોડતો રોડ પણ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે અને તેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે અટકી ગયો છે. વહીવટીતંત્ર દ્વારા બેરીકેડીંગ લગાવીને વાહન ચાલકોને સચેત કરવામાં આવી રહ્યા છે.
DM અને SSP એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
બરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) નીતીશ કુમાર અને એસએસપી રોહિત સિંહ સજવાએ બહેરીમાં અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે SDM અને તહસીલદારને અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો મોકલવાનો નિર્દેશ આપ્યો અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા આદેશ કર્યા હતા. દુડા શુમાલી, સ્પિનિંગ મિલ, ફિરોઝપુર સહિત અનેક પૂરગ્રસ્ત ગામોની સમસ્યાઓ સાંભળીને તેને ઉકેલવા DM એ તૈયારી દર્શાવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અધિકારીઓને કામચલાઉ કેમ્પ ગોઠવીને રાહતની વ્યવસ્થા ગોઠવવા સુચન કરવામાં આવ્યુ છે.
આરોગ્ય વિભાગ એલર્ટ પર
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બહેરીના અસરગ્રસ્ત ગામોનું નિરીક્ષણ કરવા આવેલા CMO ડો. બલબીર સિંહે જણાવ્યું હતું કે, ઘણા ગામોમાં પાણી ઘુસી ગયું છે અને તેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ગામોમાં પાણી ભરાવાના કારણે ચેપી રોગો ફેલાવાની સંભાવનાને જોતા સ્થાનિક સીએચસી, પીએચસી અને આરોગ્ય કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.