IRCTC: 18 દિવસમાં 8,000 હજાર કિમીનો પ્રવાસ કરશે ભારત દર્શન ગૌરવ પર્યટન ટ્રેન, રામાયણ યાત્રા દર્શન કરવા માંગતા મુસાફરો માટે આ સુવિધા
આ યાત્રાનો પડાવ ભગવાની શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા હશે, જ્યાં શ્રીરામ જન્મભૂમિ મંદિર , શ્રી હનુમાન મંદિર તથા નંદીગ્રામમાં ભરત મંદિરના દર્શન કરાવવામાં આવશે. અયોધ્યાથી રવાના થઈ આ ટ્રેન બક્સર જશે. જ્યાં વિશ્વામિત્રના આશ્રમ અને રામરેખા ઘાટ પર યાત્રિકો સ્નાન કરી શકશે.
ભારતના આસ્થાળુ નાગરિકો માટે ભારતીય રેલ્વે (Indian Railway) મોટી સોગાત લઈને આવ્યું છે. IRCTC અને રેલ્વે મંત્રાલય ભારત ગૌરવ પર્યટક ટ્રેન (Bharat Gaurav Tourist Train)ની શરૂઆત કરી રહ્યા છે. ધાર્મિક પર્યટનને વેગ આપવા આધુનિક સુવિધા માટે તૈયાર કરવામાં આવેલી ભારત ગૌરવ ટ્રેન શ્રી રામાયણ યાત્રા માટે ચલાવવામાં આવશે. આ સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન દિલ્લીથી 21 જૂનના રોજ રવાના થશે. આ ટ્રેન દ્વારા પર્યટકો પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા બધા જ મહત્વના ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે. આ યાત્રામાં કુલ 18 દિવસ લાગશે.
શ્રીરામ જન્મભૂમિ હશે પ્રથમ પડાવ
યાત્રાનો પ્રથમ પડાવ પ્રભુ શ્રી રામનું જન્મસ્થાન અયોધ્યા હશે. જ્યાં શ્રીરામ જન્મભૂમિ મંદિર, હનુમાન મંદિર તેમજ નંદીગ્રામમાં ભરત મંદિરના દર્શન થશે. ત્યારબાદ બક્સરમાં ઋષિ વિશ્વામિત્રનો આશ્રમ, રામરેખા ઘાટ પર ગંગા સ્નાન થશે. ત્યારબાદ આગળના રૂટમાં સીતામઢી જવાશે . જ્યાં તમે જાનકી જન્મસ્થળના દર્શન કરી શકશો. ઉપરાંત આ ટ્રેન ભગવાન શિવની નગરી કાશીમાં પણ જશે. જ્યાં કાશીના પ્રસિદ્ધ મંદિરો ત્મજ પ્રયાગ, શ્રૃંગવેરપુર તથા ચિત્રકૂટની યાત્રા પણ કરી શકાશે. તે દરમિયાન કાશી તેમજ ચિત્રકૂટમાં રાત્રિ રોકાણ થશે.
8 હજાર કિલોમીટરની યાત્રા કરશે ટ્રેન
ચિત્રકૂટ બાદ આ ટ્રેન નાસિક પહોંચશે, જ્યાં પંચવટી અને ત્ર્યંબકેશ્વર મંદિરનું ભ્રમણ કરાવશે. પછી કિષ્કિંધા નગરી હપી એ આ ટ્રેનનો આગળનો રૂટ હશે. જ્યાં અંજની પર્વત સ્થિત શ્રીહનુમાન જન્મસ્થળના દર્શન થશે. હંપી બાદ રામેશ્વરમાં ધનુષકોડી, ત્યારબાદ કાંચીપુરમ થઈને આ ટ્રેન છેલ્લા પડાવમાં તેલંગાણાના ભદ્રાચલમમાં જશે. જેને દક્ષિણની અયોધ્યાના નામે ઓળખવામાં આવે છે. આ ટ્રેન 18 દિવસ બાદ દિલ્લી પરત ફરશે.
18 દિવસની યાત્રાનો ખર્ચ થશે 62, 370 રૂપિયા
આ ફુલ્લી એસી ટ્રેનમાં ત્રણ શ્રેણીના કોચ હશે અને તેમાં શાકાહારી ભોજન પીરસવામાં આવશે. તેમજ યાત્રિકોની મનોરંજન માટે ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે તો સુરક્ષા માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. આ યાત્રા માટે પ્રતિ વ્યક્તિ 62, 370નું ટિકિટ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ રહેવાની વ્યવસ્થા, ગાઈડ તેમજ ઈન્શ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવી છે. સાથે જ ટિકિટ મૂલ્ય ચૂકવવા માટે હપ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૂલ્ય ચૂકવવા માટે કુલ રકમને તમે 3,6, 9, 12, 18 અને 24 મહિનાના હપ્તામાં ભરી શકો છો. હપ્તા ચૂકવવા માટે ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ યાત્રાના બુકિંગ માટે કોવિડ રસીકરણ પૂર્ણ થયેલું હોવું જરૂરી છે. સાથે જ બુકિંગ માટે પેટીએમ અને રેઝરપે જેવી પેમેન્ટ ગેટ વે સંસ્થા સાથે પણ કરાર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ જાણકારી માટે https://www.irctctourism.comનો સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે 8287930202, 8287930297 મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકાય છે.