10 દિવસથી ખોરાક-પાણી બંધ, છતા હાલત સ્થિર…. મૃત્યુની રાહ જોઈ રહેલા હરીશ રાણાએ AIIMS ના ડૉક્ટર્સને પણ ચોંકાવ્યા
ભોજન પાણી વિના પણ હરીશ રાણાની હાલત સ્થિર દેખાઈ રહી છે. પેસિવ યુથેનેશિયા પ્રક્રિયા અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી તેને ખોરાક-પાણી આપવાનું બંધ કરાયુ છે. ડૉક્ટરની દેખરેખમાં તેને દર્દમાંથી રાહત આપવાની દવાઓ અપાઈ રહી છે. જેથી તેની અંતિમયાત્રા કોઈ કષ્ટ વિના સંપન્ન થઈ શકે.

દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન AIIMS માં દાખલ હરીશ રાણાની તબિયત હાલ સ્થિર છે. તેમને છેલ્લા 10 દિવસથી ભોજન અને પાણી નથી આપવામાં આવ્યુ. ભારતનો સૌપ્રથમ ઈચ્છામૃત્યુ પામેલા હરીશ રાણાનું પોષણ બંધ કર્યા બાદ પણ તેની સ્થિતિમાં હાલ કોઈ નબળાઈ જણાઈ રહી નથી. જે ડૉક્ટર્સ માટે પણ આશ્ચર્યમાં મુકી રહી છે.
જાણકારી અનુસાર ગાજિયાબાદના રહેનારા હરીશ રાણાને 14 માર્ચે AIIMS માં ભર્તી કરવામાં આવ્યા હતા. 15 માર્ચે તેમનુ લિક્વીડ ભોજન આપવાનું બંધ કરવામાં આવ્યુ અને 17 માર્ચથી પાણી પણ આપવાનું બંધ કરાયુ. આ રીતે છેલ્લા 10 દિવસથી તેમને ન તો ભોજન આપવામાં આવી રહ્યુ છે ના તો પાણી. આમ છતા તેની તબિયત સ્થિર છે.
એમ્સની કેન્સર હોસ્પિટલના પૈલિએટિવ કેર યુનિટમાં હરીશની સારવાર ચાલી રહી છે. યુનિટના મુખ્ય ડૉક્ટર સીમા મિશ્રાના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આટલા દિવસોથી ભોજન અને પાણી બંધ હોવાથી શરીરમાં બેચેનીના લક્ષણો જોવા મળે છે પરંતુ હરીશ છેલ્લા 13 વર્ષથી કોમામાં છે, જેના કારણે તેનામાં કોઈ પ્રતિક્રિયા નથી દેખાઈ રહી.
પીડામાંથી રાહત આપવા માટે અપાઈ રહી છે દવાઓ
એમ્સના એક્સપર્ટ ડૉક્ટરની ટીમ હરીશ રાણાને સતત પીડા નિવારક જરૂરી દવાઓ આપી રહી છે. જેથી તેને કોઈ પ્રકારનો દુખાવો કે અગવડ ન થાય. સતત એવો પ્રયાસ કરાઈ રહ્યો છે કે તેમની અંતિમયાત્રા શાંત અને કોઈ પીડા વિના પુરી થઈ શકે. તેમના પિતા અશોક રાણાના વકીલ મનિષ જૈનએ જણાવ્યુ કે પરિવારને સતત અપડેટ અપાઈ રહ્યુ છે.
‘અંતિમ યાત્રા’ પર પરિવારનો દ્રષ્ટિકોણ
એડવોકેટ મનીષ જૈને જણાવ્યું હતું કે હરીશ રાણાના પરિવારને આ સંવેદનશીલ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરવા માટે સતત કાઉન્સેલિંગ મળી રહ્યું છે. બ્રહ્માકુમારી રાજયોગ સંસ્થા સાથે સંકળાયેલા હરીશના પરિવારનું કહેવુ છે કે તેઓ આ પ્રક્રિયાને બિનજરૂરી રીતે લંબાવવા માંગતા નથી. તેમનું માનવુ છે કે તેમનો પુત્ર કોઈ કષ્ટ વિના ‘અંતિમ યાત્રા’ પુરી કરે.
વર્ષ 2013થી કોમામાં છે હરીશ રાણા
31 વર્ષીય હરીશ રાણા 2013 થી કોમામાં છે. 11 માર્ચે સુપ્રીમ કોર્ટે તેમના કેસમાં ‘નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ’ માટે પરવાનગી આપી હતી. હરીશ પંજાબ યુનિવર્સિટીમાં બી.ટેકનો વિદ્યાર્થી હતો. 2013 માં, ચોથા માળની બાલ્કનીમાંથી પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તે કોમામાં છે. તેને કૃત્રિમ પોષણ આપવામં આવી રહ્યુ હતુ.
પેસિવ યુથેનેશિયા (નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ) માટે વિશેષ ટીમ
તેના આદેશમાં, સુપ્રીમ કોર્ટે AIIMS ના ડૉકટરોને હરીશ રાણાના લાઈફ સપોર્ટ ઉપકરણને દૂર કરવા માટે ચોક્કસ યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ભાર મૂક્યો હતો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા જળવાઈ રહેવી જોઈએ. ત્યારબાદ,ડૉ. સીમા મિશ્રાના નેતૃત્વમાં, નિષ્ણાત તબીબોની આ ટીમ આ કેસ પર સતત કામ કરી રહી છે.
દર્દીને પીડા ન થાય તેની ખાતરી કરે છે ડૉક્ટર
દિલ્હીના એઈમ્સ ખાતે ઓન્કો-એનેસ્થેસિયાના ભૂતપૂર્વ વડા, ડૉ. સુષ્મા ભટનાગરે સમજાવ્યું: “આ પ્રક્રિયામાં ધીમે ધીમે પોષણયુક્ત સહાય ઘટાડવાનો અથવા સંપૂર્ણપણે પાછો ખેંચવાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ખાતરી કરવામાં આવે છે કે દર્દીને પીડામાંથી પૂરતી રાહત મળે. દર્દીને પીડા રાહત આપતી દવાઓ આપવામાં આવે છે જેથી તેને કોઈ તકલીફ ન થાય.”
હરીશ રાણાનો ઈમોશનલ વીડિયો
એઈમ્સમાં દાખલ થતાં પહેલાં, ગાઝિયાબાદ સ્થિત હરીશ રાણાના ઘરેથી એક ભાવનાત્મક વિડિઓ સામે આવ્યો હતો. જેમા, હરીશની બહેન જેઓ ‘બ્રહ્મા કુમારી’ સંસ્થા સાથે સંકળાયેલા છે, તેમણે હરીશના કપાળ પર ચંદનનું તિલક કર્યુ અને કહ્યુ સબકો માફ કરતે હુએ ઔર સબકી માફી માગતે હુએ સો જાઓ… ઠીક હૈ… આ વીડિયોએ અનેક લોકોને ભાવુક કરી દીધા હતા.
