Eastern Ladakh: ‘ગોગરા-હોટ સ્પ્રિંગ્સ’થી ભારત-ચીન સૈન્ય 12 સપ્ટેમ્બર સુધીમાં પરત ફરશે – વિદેશ મંત્રાલય
ભારત અને ચીન 12 સપ્ટેમ્બર સુધીમાં પૂર્વી લદ્દાખના 'ગોગરા-હોટસ્પ્રિંગ્સ' વિસ્તારમાંથી સૈન્ય દળોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી.
ભારત અને ચીન 12 સપ્ટેમ્બર સુધીમાં પૂર્વી લદ્દાખના ‘ગોગરા-હોટસ્પ્રિંગ્સ’ (Gogra-Hot Springs area ) વિસ્તારમાંથી સૈન્ય દળોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. મંત્રાલયના નિવેદનના એક દિવસ પહેલા, ભારત અને ચીનની સેનાઓએ જાહેરાત કરી હતી કે તેઓએ ગોગરા-હોટસ્પ્રિંગ્સના ‘પેટ્રોલિંગ પોઈન્ટ 15’ પરથી દળોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સ્થળે બે વર્ષથી વધુ સમયથી બંને સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને પક્ષો વાટાઘાટો ચાલુ રાખવા અને ભારત-ચીન સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ પુનઃસ્થાપિત કરવા અને બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે સંમત થયા છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બાબતથી સંબંધિત પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, “એ વાત પર સહમતિ સધાઈ હતી કે, આ વિસ્તારમાં બંને પક્ષો દ્વારા બાંધવામાં આવેલા તમામ કામચલાઉ બાંધકામો અને અન્ય સંલગ્ન બાંધકામોને તોડી પાડવામાં આવશે અને તેની પરસ્પર પુષ્ટિ કરવામાં આવશે.” આ વિસ્તારમાં જમીનનું એ જ કુદરતી સ્વરૂપ પુનઃસ્થાપિત કરવામાં આવશે, જે બંને પક્ષો વચ્ચેના મડાગાંઠ પહેલા હતું.
દળો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ
મહત્વનું છે કે, ચીની સેનાએ શુક્રવારે કહ્યું કે, પૂર્વી લદ્દાખના ‘ગોગરા-હોટ સ્પ્રિંગ્સ’ વિસ્તારમાં ‘પેટ્રોલિંગ પોઈન્ટ-15’ પરથી ચીન અને ભારતના સૈનિકોની યોજનાબદ્ધ રીતે પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પૂર્વી લદ્દાખમાં બે વર્ષથી વધુ લાંબા સમય સુધી ચાલેલા મડાગાંઠને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતીય અને ચીની સેનાએ ગુરુવારે જાહેરાત કરી કે તેઓએ ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં ‘પેટ્રોલિંગ પોઈન્ટ 15’ પરથી દળોને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ભારતે સતત કહ્યું છે કે, દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. મડાગાંઠને ઉકેલવા માટે, બંને સેનાઓએ કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટોના 16 રાઉન્ડ યોજ્યા. “ચીન-ભારત કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકના 16મા રાઉન્ડમાં સંમત થયા મુજબ, 8 સપ્ટેમ્બર 2022ના રોજ, ચીન અને ભારતીય દળોએ શિયાઆન ડાબાન વિસ્તારમાંથી સંકલિત અને આયોજનબદ્ધ રીતે” પીછેહઠ શરૂ કરી દીધી છે, જે સરહદી વિસ્તારોમાં શાંતિ માટે સારું છે.