Char Dham Yatra 2022 : ચારધામ યાત્રા પર હવામાનની અસર, પહાડો પરથી પથ્થરો પડ્યા; બદ્રીનાથ જતા 800 શ્રદ્ધાળુઓને અટકાવાયા
Uttarakhand Weather ચાર ધામ યાત્રા (Char Dham Yatra 2022) દરમિયાન વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનથી શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે, વહીવટીતંત્રે ખરાબ હવામાનને કારણે ઘણા તીર્થયાત્રીઓને બદ્રીનાથ ધામની યાત્રા શરૂ કરતા અટકાવી દીધા છે.
ચાર ધામ યાત્રા 2022 (Char Dham Yatra 2022) દરમિયાન વરસાદ અને ભૂસ્ખલનથી ભક્તોની મુશ્કેલીઓ વધી છે. કેદારનાથના (Kedarnath) શિખરો પર હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે હિમવર્ષા સાથે વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં, ઉત્તરકાશી, ટિહરી, પૌરી, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ જિલ્લામાં પણ ઘણી જગ્યાએ વરસાદ થયો છે. બદ્રીનાથ (Badrinath) હાઈવે પર નાળામાં પાણીનું સ્તર વધ્યું અને પહાડ પરથી પથ્થરો પડવા લાગ્યા છે. જેના કારણે પોલીસ પ્રશાસને બદ્રીનાથ ધામ જઈ રહેલા લગભગ 800 શ્રદ્ધાળુઓને પાંડુકેશ્વર (Pandukeshwar) ખાતે સુરક્ષાને ધ્યાને લઈને રોક્યા છે. રોકી રખાયેલા મુસાફરોના રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા ગોવિંદઘાટ ગુરુદ્વારા ખાતે કરવામાં આવી છે.
ઉતરાખંડના (Uttarakhand ) બદ્રીનાથ ધામથી જોશીમઠ (Joshimath) સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે સાંજે 4 વાગ્યાથી બદ્રીનાથ અને લામ્બાગઢ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. સાંજે 6 વાગ્યાથી લાંબાગઢ નજીક ઉચડા નાળામાં ટેકરી પરથી પથ્થરો પડવા લાગ્યા હતા. જેના કારણે પોલીસ પ્રશાસને વાહનોની અવરજવર બંધ કરાવી દીધી હતી. રાત્રે 8.30 વાગ્યા સુધી પહાડી પરથી પથ્થરો ગગડવાનુ ચાલુ રહ્યુ હતું.
અચાનક ઠંડી વધી ગઈ
એકાએક હિમવર્ષા અને વરસાદને કારણે પહાડોમાં ઠંડીમાં વધારો થયો છે. વરસાદ અને ઠંડીના કારણે શ્રદ્ધાળુને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બદલાયેલા હવામાનને જોતા વહીવટીતંત્ર કેદારનાથ ધામની યાત્રા પર આવતા મુસાફરોને સતત અપીલ કરી રહ્યું છે. ચાર ધામ યાત્રાએ આવનારા યાત્રિકોને વહીવટીતંત્ર ગરમ કપડાં, રેઈનકોટ સાથે પૂરી તૈયારી સાથે આવવા જણાવી રહ્યાં છે.
કેદારનાથ યાત્રા દરમિયાન મોટાભાગના મુસાફરોના મોત થયા
દરમિયાન ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં 41 શ્રદ્ધાળુઓના મોત થયા છે. કેદારનાથ યાત્રા દરમિયાન સૌથી વધુ 15 મુસાફરોના મોત થયા હતા. યમુનોત્રીમાં 14, બદ્રીનાથમાં 8 અને ગંગોત્રીમાં ચાર તીર્થયાત્રીઓના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઈ બ્લડ પ્રેશર, હ્રદય સંબંધિત બીમારીઓ, પર્વતારોહણની બીમારીઓને કારણે શ્રદ્ધાળુઓના મોત થયા છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્ર દ્વારા જે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેવા લોકોએ મુસાફરી ના કરવાની સલાહ આપવામાં આવી છે,
મળતી માહિતી મુજબ, બદ્રીનાથના દ્વાર ખુલ્યા બાદ 8 મેથી સોમવાર સાંજ સુધીમાં કુલ 1 લાખ 76 હજાર 463 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, જ્યારે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ 6 મેથી 16 મે સુધીમાં 2 લાખ 13 હજાર 640 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.