આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી
સમાજમાં એકતા અને સમાનતાના ઉપાસક એવા, સ્વામી રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી, સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીના ઉપક્રમે હૈદરાબાદ નજીક ઉજવાશે
શ્રી રામાનુજાચાર્યની 1000મી જયંતિના અવસર પર ઉજવાનાર, સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી અંગે જાણકારી આપતા આધ્યાત્મિક ગુરુ ત્રિદંડી ચિન્ના જીયર સ્વામીએ કહ્યુ કે, ભારતમાં પ્રચલિત જૂની પરંપરા અને વિચારો જો ફરીથી લાગુ કરાય તો આજે સમાનતા જોવા મળે.
આપણા દેશમાં વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા અને વિચારોને, ફ્રેન્ચ, ડચ અને અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કરવાની સાથે આપણી પરંપરા, વિચારોને પણ નષ્ટ કર્યા. આ બધા આક્રમણકારોએ આપણને રંગ, જાતિ અને ધર્મના આધારે અલગ અલગ કરી દીધા. જેના કારણે આજે આવી સ્થિતિ સર્જાઈ છે. તેમ આધ્યાત્મિક ગુરુ ત્રિદંડી ચિન્ના જીયર સ્વામીએ જણાવ્યુ હતુ.
આધ્યાત્મિક ગુરુ ત્રિદંડી ચિન્ના જીયર સ્વામીએ કહ્યુ કે, કોઈનો જન્મથી મોલ ના કરી શકાય. જે તે વ્યક્તિના જ્ઞાન અને કર્મથી મોલ કરવો જોઈએ. આપણે આપણી સમજણને બદલવાની જરૂર છે. ધર્મ, જાતિ અને રંગને કારણે અલગ અલગ કર્યા પછી જો આપણે સમજથી કામ કરીશુ તો પાછા એક થઈને સૌ સમાન બનીશુ. સૌમા સમાનતા આવશે.
ભારતમાં વર્ષોથી વિશ્વ બંધુત્વનો સંદેશ પ્રચલિત હતો. આ વિશ્વ બંધુત્વના સંદેશને સાંપ્રત સમયમાં ફરી પ્રસરાવવા માટે એક સંતની સહસ્ત્રાબ્દીને સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીના નામે ઉજવવામાં આવી રહી છે. જેમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજનાથસિહ, નીતિન ગડકરી, મોહન ભાગવત સહીત અનેક મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે. શ્રી રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી ઉજવવાથી 1000 વર્ષ જૂની આપણી પરંપરા પુનઃજીવંત થશે તેમ પણ ત્રિદંડી ચિન્ના જીયર સ્વામીએ જણાવ્યુ હતું.
શ્રી રામાનુજાચાર્યની 1000મી જયંતિના અવસર પર હૈદરાબાદ નજીકના શમશાબાદ એક નવા વિશાળ આશ્રમની રચના કરવામાં આવનાર છે. તો સાથોસાથ રામાનુજાચાર્યની 216 ફુટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે. આ પ્રતિમા વિશ્વમાં બીજા નંબરની ઊંચામાં ઊંચી પ્રતિમા હશે. મુચિન્તલમાં 200 એકર જમીન સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરાશે. જ્યાં 1035 હવનકુંડ હશે. જનકલ્યાણઅર્થે લક્ષ્મી નારાયણ યજ્ઞ યોજાશે. જેમાં બે લાખ કિલોગ્રામ જેટલુ ગાયના ઘીનો વપરાશ કરાશે.
રામાનુજાચાર્ય સ્વામી 11 મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને ફિલસૂફ હતા. તેઓ પ્રથમ એવા આચાર્ય હતા, કે જેમણે સાબિત કર્યું કે સર્વશક્તિમાન સમક્ષ બધા સમાન છે. તેમણે દલિતો સાથે સમદ્રષ્ટી રાખી. તેમણે સમાજમાં અસ્પૃશ્યતા અને અન્ય દુર્ગુણોને દૂર કર્યા. તેમણે દરેકને ઈશ્વરની ઉપાસનાનો સમાન અધિકાર આપ્યો.
આ પણ વાંચોઃ તાલિબાને IPL પર પ્રતિબંધ લગાવ્યો, અફઘાનિસ્તાનમાં કોઈ મેચનું ટેલિકાસ્ટ થશે નહીં, જાણો શું છે કારણ
આ પણ વાંચોઃ Monsoon: આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેવો વરસાદ