સરકારે ફ્રીબીઝ કેસ પર ચર્ચા કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટે આ મામલો 3 જજની બેંચને મોકલ્યો
સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે કહ્યું કે ફ્રીબીઝ એ કરદાતાના નાણાંનો બગાડ છે.
રાજકીય પક્ષો દ્વારા ફ્રીબીઝ (Freebies) એટલે કે ફ્રી ગિફ્ટના વિતરણ પર સુપ્રીમ કોર્ટનો (Supreme Court) મોટો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલો ત્રણ જજની બેંચને મોકલી આપ્યો છે. ચૂંટણી દરમિયાન મફત યોજનાઓની જાહેરાત અને તેના પછીના અમલીકરણથી અર્થતંત્રને નુકસાન થાય છે. સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે કહ્યું કે ફ્રીબીઝ એ કરદાતાના નાણાંનો બગાડ છે.
કોર્ટે કહ્યું કે જ્યારે આ કોર્ટ નીતિ વિષયક મામલા પર કાર્યવાહી કરે છે ત્યારે આવો મામલો કોર્ટના કાર્યક્ષેત્ર અથવા અધિકારક્ષેત્રની બહાર હોય છે. અમે આ મુદ્દે શ્વેતપત્ર તૈયાર કરવા માટે એક સમિતિનું સૂચન કરવાનું વિચાર્યું અને જો સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે તો આ મુદ્દે વ્યાપક ચર્ચાની જરૂરિયાત પૂરી થઈ શકે છે.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ અને ચર્ચા કરવી જોઈએ. આ માટે કમિટી બનાવવી સારું રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, કેટલાક પ્રશ્નો છે જેમ કે ન્યાયિક હસ્તક્ષેપનો અવકાશ શું છે? શું કોર્ટ કોઈપણ યોજનાનો અમલ કરવા માટે આદેશ આપી શકે છે? સમિતિની રચના શું હોવી જોઈએ? કેટલાક પક્ષનું કહેવું છે કે સુબ્રમણ્યમ બાલાજીના 2013ના ચુકાદા પર પણ પુનર્વિચાર કરવાની જરૂર છે.
ફ્રીબીઝ રાજ્યને નાદાર બનાવી શકે છે
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે અરજદારનું કહેવું છે કે આવા વચનો રાજ્યની અર્થવ્યવસ્થા પર મોટી અસર કરે છે અને મત બેંકોને આકર્ષવા માટે નાણાકીય અસરોનું મૂલ્યાંકન કર્યા વિના કરવામાં આવે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ફ્રીબીઝના કારણે રાજ્યને નાદારી તરફ ધકેલવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે આવી મફત જાહેરાતોનો ઉપયોગ પાર્ટીની લોકપ્રિયતા વધારવા માટે કરવામાં આવે છે. તે રાજ્યને વાસ્તવિક પગલાં લેવાથી વંચિત રાખે છે.
આ મામલાની છેલ્લી સુનાવણીમાં કોર્ટે સરકારને સર્વપક્ષીય બેઠક દ્વારા અભિપ્રાય બનાવવા માટે કહ્યું છે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે આ અંગેના નિયમો અને કાયદા બનાવવાનું કામ તેમનું નથી, પરંતુ સરકારનું છે. સરકારે કહ્યું કે કાયદો બનાવવાની બાબત એટલી સરળ નથી. કેટલાક વિરોધ પક્ષો આ ફ્રીબીઝ જાહેરાતને બંધારણ દ્વારા આપવામાં આવેલા અભિવ્યક્તિના અધિકારના ભાગરૂપે માને છે.