છેલ્લા બે વર્ષમાં જંગલ વિસ્તારમાં 1540 ચોરસ કિલોમીટરનો થયો વધારો, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જાહેર કર્યો રિપોર્ટ
વર્ષ 2019 થી અત્યાર સુધીમાં દેશમાં જંગલો અને વૃક્ષોના ક્ષેત્રમાં 2,261 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. જેમાં વન વિસ્તાર 1,540 ચોરસ કિલોમીટર વધ્યો છે અને વૃક્ષારોપણનો વિસ્તાર 721 ચોરસ કિલોમીટર વધ્યો છે.
Forest survey :પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે (Union Minister Bhupendra Yadav)ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ છેલ્લા બે વર્ષમાં ભારતમાં હરિયાળી વધી છે. ગ્લોબલ વોર્મિંગ(Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) વચ્ચે આ સમાચાર ચોક્કસપણે દિલાસો આપનારા છે. વન વિસ્તારની વર્તમાન સ્થિતિ પર જાહેર કરાયેલા દ્વિવાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2019 થી અત્યાર સુધીમાં દેશમાં જંગલો અને વૃક્ષોના ક્ષેત્રમાં 2,261 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. આમાં, વન વિસ્તાર 1,540 ચોરસ કિલોમીટર વધ્યો છે અને વૃક્ષોના આવરણમાં 721 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. દેશનું કુલ જંગલ અને વૃક્ષાચ્છાદન 80.9 મિલિયન હેક્ટર છે. આ દેશના ભૌગોલિક વિસ્તારના 24.62 ટકા છે.
ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 33 ટકાથી વધુ ભૌગોલિક વિસ્તાર જંગલોના કવર હેઠળ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન માત્ર સંરક્ષણ પર જ નથી. સરકાર જંગલોને ગુણાત્મક રીતે સમૃદ્ધ બનાવવા માટે કામ કરી રહી છે.
પૂર્વોત્તર રાજ્યો માટે ચિંતા
પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ ચિંતાનો વિષય છે. આ રાજ્યોમાં જંગલ વિસ્તારમાં 1,020 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ 257 ચોરસ કિમીનો ઘટાડો છે. મણિપુરમાં 249 ચોરસ કિમી, નાગાલેન્ડમાં 235 ચોરસ કિમી, મિઝોરમમાં 186 ચોરસ કિમી અને મેઘાલયમાં 73 ચોરસ કિમીનો જંગલ વિસ્તાર ઓછો થયો છે. રિપોર્ટ અનુસાર, 2019ની સરખામણીમાં જંગલ વિસ્તારમાં 0.22 ટકા અને વૃક્ષોના આવરણમાં 0.76 ટકાનો વધારો થયો છે. હવે કુલ વન વિસ્તાર અને વૃક્ષારોપણ 809 મિલિયન હેક્ટર છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 24.62 ટકા છે.
ખુલ્લા જંગલો પછી, ખૂબ જ ગાઢ જંગલમાં વન આવરણમાં વધારો થયો છે. આંધ્રપ્રદેશ (647 ચોરસ કિમી)માં સૌથી વધુ જંગલ વિસ્તાર વધ્યો છે. તે પછી તેલંગાણા (632 ચોરસ કિમી) અને ઓડિશા (537 ચોરસ કિમી) આવે છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશમાં સૌથી વધુ જંગલ વિસ્તાર મધ્ય પ્રદેશમાં છે. તે પછી અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર આવે છે. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, દેશમાં જંગલોના સંરક્ષણ અને વૃક્ષારોપણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. નેશનલ ગ્રીન મિશન હેઠળ ટૂંક સમયમાં વધુ કેટલીક નવી યોજનાઓ લાવવાની તૈયારી છે.
આ પણ વાંચોઃ
Gandhinagar : એવુ તો શું થયુ કે મહેસુલ પ્રધાનની ઓફિસમાં આ વ્યક્તિ ભાવુક થઇને રડવા લાગ્યા ? જુઓ આ વીડિયો
આ પણ વાંચોઃ