ચૂંટણીપંચનો રાહુલ ગાંઘીને જવાબ, જૂની બોટલમાં નવો દારુ, વાહિયાત આરોપો માટે રાષ્ટ્ર સમક્ષ માફી માંગે
કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મત ચોરીના આરોપ અંગે ચૂંટણી પંચે પ્રત્યુતર આપ્યો છે. પંચે કહ્યું કે, રાહુલ ગાંધીએ જૂની પુરાણી વાતોનું પુનરાવર્તન કર્યું. વર્ષ 2018માં મધ્યપ્રદેશ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ કમલનાથે પણ આ જ સૂર આલાપ્યો હતો. હવે રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ખામીઓ હોવાનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો. હવે ચૂંટણી પંચે આનો જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમની તાજેતરની પત્રકાર પરિષદમાં જૂની પુરાણી વાતોનું પુનરાવર્તન કર્યું… જેનો અર્થ ‘જૂની બોટલમાં નવી દારૂ’ થાય છે. વર્ષ 2018માં મધ્યપ્રદેશ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ કમલનાથે પણ આ જ સૂર આલાપ્યો હતો. હવે લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ એ જ સૂર આલાપી રહ્યાં છે.
ચૂંટણી પંચે કહ્યું કે, વર્ષ 2018માં તેમણે એક ખાનગી વેબસાઇટ પરથી દસ્તાવેજો રજૂ કરીને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી એ બતાવી શકાય કે, મતદાર યાદીમાં ગંભીર ભૂલો છે, કારણ કે 36 મતદારોના ચહેરા રિપીટ હતા. જ્યારે સત્ય એ છે કે, મતદાર યાદીમાં રહી ગયેલ આ ભૂલ લગભગ 4 મહિના પહેલા સુધારી લેવામાં આવી હતી. તેની એક નકલ પણ નિયમ મુજબ દરેક રાજકીય પક્ષને આપવામાં આવી હતી.
એટલા માટે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, આ કેસમાં કોર્ટે કમલનાથની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હવે 2025 માં, કોર્ટમાં એક જ યુક્તિનો ઉપયોગ કરી શકાતો નથી તે જાણીને, તેમણે મતદાર યાદીમાં ખામીઓનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે, એક જ નામ અલગ અલગ જગ્યાએ છે. સત્ય એ છે કે આદિત્ય શ્રીવાસ્તવનું નામ, જે કથિત રીતે ત્રણ અલગ અલગ રાજ્યોમાં હતું, તે મહિનાઓ પહેલા સુધારી લેવામાં આવ્યું હતું.
પાયાવિહોણા દાવાઓ કરીને મુદ્દાને સનસનાટીભર્યો બનાવવાનો પ્રયાસ
ચૂંટણી પંચે કહ્યું કે, વારંવાર એક જ મુદ્દો ઉઠાવવાથી એ દર્શાવે છે કે રાહુલ ગાંધીને ભારતની સુપ્રીમ કોર્ટના નિર્ણયો પ્રત્યે કોઈ માન નથી. કાયદો ઉમેદવારી પત્ર ઉપર વાંધો ઉઠાવવા અને અપીલ કરવા અંગે સહીતના બંને બાબતોએ ચોક્કસ પ્રક્રિયા પ્રદાન કરે છે. કાનૂની પ્રક્રિયાઓનો લાભ લેવાને બદલે, તેમણે મીડિયામાં પાયાવિહોણા દાવાઓ કરીને મુદ્દાને સનસનાટીભર્યો બનાવવાનો પ્રયાસ કર્યો.
વાહિયાત આરોપો માટે રાષ્ટ્ર સમક્ષ માફી માંગવી જોઈએ
પંચે કહ્યું કે, પ્રસ્તાવ એ છે કે જો કાયદો કોઈ ચોક્કસ કાર્ય ચોક્કસ રીતે કરવાની માંગ કરે છે, તો તે તે રીતે થવું જોઈએ. બીજી કોઈ રીતે નહીં. તેથી, જો રાહુલ ગાંધી તેમના વિશ્લેષણમાં વિશ્વાસ કરે છે અને માને છે કે ચૂંટણી પંચ સામેના તેમના આરોપો સાચા છે, તો તેમણે કાયદાનું સન્માન કરવું જોઈએ અને ધોષણાપત્ર પર સહી કરવી જોઈએ. જો તેઓ આમ ન કરે, તો તેમણે ચૂંટણી પંચ સામેના વાહિયાત આરોપો કરવા બદલ રાષ્ટ્ર સમક્ષ માફી માંગવી જોઈએ.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો