કોંગ્રેસ 13 જૂને દેશભરની ED ઓફિસમાં કરશે સત્યાગ્રહ, નેશનલ હેરાલ્ડ કેસમાં એ દિવસે હાજર થશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીને (Rahul Gandhi) 2 જૂને EDમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ રાહુલ ગાંધીએ આ દિવસે હાજર થવા માટે અસમર્થતા દર્શાવી હતી, ત્યારબાદ તેમને 13 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાં હાજર થવું પડશે. સોનિયા ગાંધી 8 જૂને હાજર થવાના હતા પરંતુ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના કારણે હાજર થઈ શક્યા ન હતા. બીજી તરફ રાહુલ ગાંધીને 2 જૂને EDમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ રાહુલ ગાંધીએ આ દિવસે આવવામાં અસમર્થતા દર્શાવી હતી, ત્યારબાદ તેમને 13 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. EDના સમન્સ બાદ કોંગ્રેસ સતત ભાજપ પર પ્રહારો કરતી જોવા મળી રહી છે. હવે કોંગ્રેસ કાર્યકર્તાઓએ 13 જૂને દેશભરમાં ED ઓફિસમાં સત્યાગ્રહ કરવાની વાત કરી છે.
તમને જણાવી દઈએ કે પાર્ટીના પ્રવક્તા પવન ખેરા પહેલા જ કહી ચૂક્યા છે કે અમે કાયદાનું સંપૂર્ણ પાલન કરીશું. અમારા નેતાઓને ED દ્વારા સમન્સ જાહેર કરવામાં આવ્યા છે અને બંને નેતાઓ ED સમક્ષ હાજર થશે. સૂત્રોએ જણાવ્યું કે ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરી માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહે તેવી શક્યતા છે. EDએ ‘નેશનલ હેરાલ્ડ’ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા નોટિસ આપી છે, જોકે કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે કારણ કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ પણ સ્વસ્થ થયા નથી.
કોંગ્રેસ 13 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ રાહુલ ગાંધીની હાજરી દરમિયાન જોરદાર શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહી છે અને આ ક્રમમાં પાર્ટીના સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીએ તમામ મહાસચિવો, પ્રભારીઓ અને રાજ્ય કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની ડિજિટલ બેઠક બોલાવી હતી, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ED સમક્ષ હાજર થવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે પોતાના સાંસદોને 13 જૂનની સવારે દિલ્હીમાં હાજર રહેવા માટે પણ કહ્યું છે.
રાહુલનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- વફાદારી અને પ્રદર્શનમાં ફરક છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે મોંઘવારી પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યા. તેણે ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, વફાદારી અને પ્રદર્શનમાં તફાવત છે. મોદી સરકારે ન તો દેશ પ્રત્યે વફાદારી દર્શાવી, ન લોકો પ્રત્યે. હું મોંઘવારી વિશે વાત કરું છું. જો તમે વિચારી રહ્યા હોવ કે ભવિષ્યમાં મોંઘવારી ઓછી થશે, તો તમે ગેરસમજમાં છો. આવનારા દિવસોમાં મોદી સરકારના નવા હુમલા માટે તૈયાર થઈ જાઓ. રાહુલ ગાંધીએ કહ્યું, RBIએ રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કર્યો છે, જે હવે વધીને 4.9 ટકા થઈ ગયો છે. આરબીઆઈના જણાવ્યા મુજબ 2022-23માં મોંઘવારી વધુ વધશે. જ્યારે છૂટક મોંઘવારી 6.7 ટકા યથાવત રહેશે.