chardham yatra: યમુનોત્રી માર્ગ પર ભૂસ્ખલન, અટવાયેલા 12,000થી વધુ શ્રદ્ધાળુઓની તંત્ર દ્વારા કરવામાં આવી ‘શટલ સેવા’
યમુનોત્રી (Yamunotri)અને રાણાચટ્ટી માર્ગ ભૂસ્ખલનને કારણે સડક માર્ગ અવરોધાઈ ગયો છે અને તેના કારણે દમ્ટાથી જાનકીચટ્ટી જવા સુધી 1500થી વધુ વાહનો ફસાયા છે. નાના વાહનો દ્વારા યાત્રિકોને જાનકીચટ્ટી લઈ જવામાં આવી રહ્યા છે
ઉત્તરાખંડ (Uttarakhand)માં ચાલી રહેલી યાત્રા પર મોસમનો કહેર ફરી વળ્યો છે. રાજ્યના યમુનોત્રી અને રાણાચટ્ટી માર્ગ પર બૂસ્ખલનને કારણે સડક માર્ગ અવરોધાઈ ગયો છે અને તેના કારણે દમ્ટાથી જાનકીચટ્ટી જવા સુધી 1500થી વધુ વાહનો ફસાયા છે જ્યારે 12 હજાર યાત્રિકો પણ અટવાઈ ગયા છે. નાના વાહનો દ્વારા યાત્રિકોને જાનકીચટ્ટી લઈ જવામાં આવી રહ્યા છે. ઉત્તરકાશી જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે નાના વાહનો માટે હાઇ વે શુક્રવારે મોડી રાત સુધીમાં ખૂલી ગયો હતો. પંરતુ મોટી બસો પાંચ દિવસ સુધી અટવાઈ શકે છે. શુક્રવારે દમ્ટાથી જાનકીચટ્ટી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
જિલ્લાતંત્રએ શરૂ કરી શટલ સેવા
જિલ્લાધિકારીના આદેશ પર જાનકીચટ્ટી માટે શટલ સેવા શરૂ કરવામાં આવી છે. તે મુજબ નાના વાહનો દ્વારા યાત્રિકોને જાનકીચટ્ટી લઈ જવામાં આવી રહ્યા છે અને યમુનોત્રી દર્શન કરાવીને બડાકોટમાં ઉતારી દેવાય છે. જિલ્લા પ્રશાસને 47 કિલોમીટરનું ભાડું 150 રૂપિયા રાખ્યું છે. સાથે જ યમુનોત્રી ધામ જવા રાહ જોઈ રહેલા 40 બસમાં સવાર 1,800 મુસાફરોને ગંગોત્રી જવા રવાના કરવામાં આવ્યા છે. હાઈ વે જામ થતાં પરિસ્થિતિ સંભાળવા જિલ્લા અધિકારી અભિષેક રૂહેલા અને પોલીસ અધિક્ષક અર્પણ યંદુવંશી યમુના ઘાટી પહોંચ્યા હતા.
ભૂસ્ખલનને કારણે યાત્રિકોની મુશ્કેલીમાં થયો વધારો
એક માહિતી પ્રમાણે યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર બુધવારે સાંજે પાંચ વાગ્યે રાણાચટ્ટી પાસે ભૂસ્ખલન થયું હતું. તેના કારણે સડક વ્યવહાર ખોરવાયો હતો, પરંતુ ગુરૂવારે હાઈવે સાફ કરી દેવામાં આવ્યો હતો અને આશરે 300 નાના વાહનો દ્વારા યાત્રિકોને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરીથી શુક્રવારે તે જ સ્થળે ભૂસ્ખલન થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ચારધામ યાત્રાના કેટલાક સ્થળો પર નિયમિત રીતે યાત્રિકોને વરસાદ તેમજ ભૂસ્ખલનની સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે આ પ્રકારની વ્યવસ્થાથી યાત્રિકો પોતાના ગંતવ્ય સ્થાને ઝડપથી પહોંચી શકે છે અને યાત્રા પૂર્ણ કરી શકે છે.