Breaking News: ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઇપલાઇન લગાવવાનો દાવો ખોટો, કેન્દ્ર સરકારે કરી મોટી સ્પષ્ટતા
ગુજરાતને ઓમાન સાથે જોડતી હજારો કિલોમીટર લાંબી ડીપ-સી એનર્જી પાઇપલાઇનના દાવાઓને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ યોજના હાલમાં વિચારણા હેઠળ નથી અને કોઈ દેશ સાથે ચર્ચા પણ ચાલી રહી નથી.

ગુજરાતથી ઓમાન અને અન્ય ખાડી દેશો સુધી સમુદ્રની અંદર ગેસ પાઇપલાઇન બિછાવવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે આવી કોઈ ડીપ-સી એનર્જી પાઇપલાઇન યોજના હાલમાં સરકારના વિચારાધીન નથી.
તાજેતરમાં કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર ‘મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપવોટર પાઇપલાઇન’ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. આ પ્રસ્તાવિત પાઇપલાઇન ગુજરાતને ઓમાન અને અન્ય ખાડી દેશો સાથે સીધી ઊર્જા કનેક્ટિવિટી પૂરી પાડશે તેવી ચર્ચા હતી.
જો કે, પેટ્રોલિયમ મંત્રાલયે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આવી કોઈ યોજના પર વિચારણા કરવામાં આવી રહી નથી. ઉપરાંત ઓમાન કે અન્ય કોઈ ખાડી દેશ સાથે આ પ્રકારના પ્રોજેક્ટ અંગે કોઈ સક્રિય ચર્ચા અથવા વાટાઘાટો પણ ચાલી રહી નથી.
મંત્રાલયે જણાવ્યું કે આ સ્પષ્ટતા બજારમાં ચાલી રહેલી અટકળો અને ગેરસમજ દૂર કરવા માટે જાહેર કરવામાં આવી છે.
બીજી તરફ ભારત મધ્ય પૂર્વમાંથી ઊર્જા પુરવઠો સતત જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે. માલ્ટાના ધ્વજ હેઠળ ચાલતું એલએનજી વહન કરતું જહાજ ‘દિશા’ હોર્મુઝ જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર થઈને ગુજરાતના દહેજ બંદર તરફ આગળ વધી રહ્યું છે. આ જહાજમાં 62,370 મેટ્રિક ટન એલએનજી છે અને તે 18 જૂને ભારત પહોંચવાની શક્યતા છે.
સરકારે જણાવ્યું છે કે ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશનો, શિપિંગ કંપનીઓ અને અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે પણ શિપિંગ કંપનીઓને આગામી સૂચના સુધી સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય નાવિકોની નિમણૂક ન કરવા સલાહ આપી છે. જોકે દેશના તમામ બંદરો પર હાલ કામગીરી સામાન્ય રીતે ચાલુ છે.
