વસ્તી ગણતરીમાં ઘર, ગાડી કે મિલકતની વિગત છુપાવી તો ખાવા પડશે જેલના રોટલા, જાણો ફોર્મના એવા સવાલો જે તમને ચોંકાવી દેશે
વસ્તી ગણતરી માત્ર આંકડાની રમત નથી, પણ કાયદાકીય પ્રક્રિયા છે. જો તમે જાણી જોઈને તમારી મિલકત કે પરિવારની સાચી માહિતી નહીં આપો તો તમારે જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે. હાઈ સિક્યોરિટી નંબર પ્લેટથી લઈને ઘરના સભ્યોની સંખ્યા સુધી, સરકાર કેવી રીતે રાખશે તમારા પર નજર અને ફોર્મમાં કેવા અજીબ સવાલો પૂછવામાં આવશે, તે જાણવા વાંચો આ અહેવાલ.

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કોઈ પણ તથ્ય જાણી જોઈને છુપાવવા બદલ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. વસ્તી ગણતરી અધિનિયમ 1948ની કલમ 11 મુજબ, જો કોઈ વ્યક્તિ માહિતી છુપાવતા પકડાશે તો તેને 1000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ કાયદો માત્ર જનતા માટે જ નહીં, પણ જો કોઈ ગણતરી કરનાર કર્મચારી (પ્રગણક) વિગતો બહાર જાહેર કરશે તો તેના માટે પણ સજાની જોગવાઈ છે.
તપાસ માટે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વસ્તી ગણતરી કરનારા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને ભૌતિક ચકાસણી કરશે. જો કોઈ મોટું મકાન હોવા છતાં રૂમની સંખ્યા ઓછી બતાવશે તો તેની તપાસ થશે. એટલું જ નહીં, જો કોઈના ઘરે વધુ કાર હોય અને તે ઓછી હોવાનું જણાવશે તો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ (HSNP) જેવા માધ્યમો દ્વારા પણ તેની ખરાઈ કરવામાં આવશે.
મિલકત છુપાવવાની જરૂર નથી
જિલ્લા વસ્તી ગણતરી અધિકારીના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરીમાં જંગમ કે સ્થાવર મિલકત છુપાવવાની જરૂર નથી કારણ કે આ માહિતીનો આવકવેરા (Income Tax) કે અન્ય સુવિધાઓ સાથે કોઈ સીધો સંબંધ નથી. આ માત્ર દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ જાણવા માટેની પ્રક્રિયા છે.
ફોર્મમાં પૂછાશે આ અનોખા સવાલો
- વસ્તી ગણતરીના ફોર્મમાં કુલ 34 સવાલો સામેલ છે, જેમાંથી કેટલાક તમને આશ્ચર્યમાં મૂકી શકે છે.
- પરિવારના દંપતીની સંખ્યા: જો કોઈ પુરુષને બે પત્ની હોય તો તેને ‘ડબલ ફેમિલી’ એટલે કે બે દંપતી માનવામાં આવશે. પરંતુ જો કોઈ મહિલાને બે પતિ હોય તો તેને ‘સિંગલ ફેમિલી’ એટલે કે એક જ દંપતી ગણવામાં આવશે.
- ઘરનો મુખિયા કોણ?: પરિવારમાં સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ જ મુખિયા હોય તે જરૂરી નથી. પરિવારના સભ્યો જેને મુખિયા તરીકે ઓળખાવશે તેનું જ નામ ફોર્મમાં નોંધવામાં આવશે. તે ઘરની કોઈ પણ મહિલા, પુત્રવધૂ કે દીકરી પણ હોઈ શકે છે અને તેના માટે ઉંમરની કોઈ મર્યાદા નથી.
વસ્તી ગણતરીની આ કામગીરી પૂરી સ્ટડી સાથે તૈયાર કરવામાં આવી છે જેથી દેશના દરેક પરિવારની સચોટ માહિતી સરકાર સુધી પહોંચી શકે.
