Breaking News: જમ્મુના ઉધમપુરમાં યાત્રિકો ભરેલી બસ પલટી, 15ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે રામનગર વિસ્તારમાં એક બસે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ, જેમાં 15 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખાગોટ વિસ્તારમાં એક જાહેર પરિવહન બસે અચાનક કાબુ ગુમાવતા પલટી મારી દીધી હતી, જેના કારણે 15 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કેટલાક લોકોને વધુ સારવાર માટે એરલિફ્ટ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં બચાવ ટીમો સતત કામગીરીમાં લાગેલી છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દુખ વ્યક્ત કર્યુ
આ ઘટના અંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે જણાવ્યું કે તેમણે ઉધમપુરના જિલ્લા ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી છે અને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે વધુમાં કહ્યું કે ઘાયલોને શક્ય તમામ તબીબી મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને જરૂરી હોય તો ગંભીર દર્દીઓને હવાઈ માર્ગે સારવાર માટે ખસેડવામાં આવશે.
Union Minister Dr Jitendra Singh tweets, “Just now spoke to DC Udhampur, Minga Sherpa, after learning about a tragic road accident, less than an hour ago, at village Kanote, involving a public transport bus on its way from Ramnagar to Udhampur. The rescue operation has been… pic.twitter.com/FqZIM3vLeO
— ANI (@ANI) April 20, 2026
પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી
અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર થઈ હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. સ્થાનિક લોકોએ બસ અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને માર્ગોની હાલત સુધારવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટની માંગ ઉઠાવી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે અને વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
