Breaking News: 2019 માં નહીં પરંતુ 2013 માં કરેલી આ ભૂલની સજા ભોગવી રહ્યા છે રાહુલ ગાંધી, જાણો શું છે સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(4)ને ફગાવી દીધા પછી 2013 માં એક વટહુકમ પસાર કરવામાં આવ્યો હતો, જે સાંસદો અને ધારાસભ્યોને અમુક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવે તો તેઓને પોતાના પદ ઉપરથી હટાવવા સામે રક્ષણ આપી શકે.
દસ વર્ષ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં, રાહુલ ગાંધીએ તેમની પોતાની સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા વટહુકમની નકલ ફાડી નાખી હતી. જો તેમણે આ ન કર્યું હોત તો આજે તેમની હાલની મુશ્કેલીમાંથી તેઓ બચી શકે તેમ હતું. કોંગ્રેસના નેતા અને વાયનાડના સંસદસભ્ય રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિના ગુના માટે ગુજરાતની મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ આજે ગુરુવારના રોજ તેમને સંસદ સભ્ય પદેથી હટાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(4)ને ફગાવી દીધા પછી 2013 માં એક વટહુકમ પસાર કરવામાં આવ્યો હતો, જે સાંસદો અને ધારાસભ્યોને અમુક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવે તો તેઓને પોતાના પદ ઉપરથી હટાવવા સામે રક્ષણ આપી શકે. સમયની રીતે આ અંતર્ગત 3 મહિનાના સમયગાળાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સાંસદ કે ધારાસભ્યને ગેરલાયક ઠેરવી શકાશે નહીં. વધુમાં જો વર્તમાન સાંસદ અને ધારાસભ્યને દોષિત ઠેરવવાની તારીખથી આ ત્રણ મહિનાની અંદર જો તેમના દ્વારા અપીલ અથવા રિવિઝન ફાઇલ કરવાની હોય, તો જ્યાં સુધી અપીલ અથવા રિવિઝનનો નિકાલ ન થાય ત્યાં સુધી તેને ગેરલાયક ઠેરવી શકાય નહિ તેવી જોગવાઈ હતી.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ શું છે?
આ એવો કાયદો છે જેનો પ્રારંભિક મુસદ્દો રાહુલ ગાંધીએ 2013માં એક પત્રકાર પરિષદમાં તેને અપૂરતો ગણાવીને ફાડી નાખ્યો હતો. ત્યારે રાહુલ ગાંધી જણાવ્યું હતું કે, આ કાયદાને વધુ મજબૂત કરવાની જરૂર છે. બાદમાં આ બિલ યુપીએ-2 સરકારમાં જ કાયદો બની ગયું, કાયદાના જાણકારો કહે છે કે, જો રાહુલે આ જ બિલને પસાર થવા દીધું હોત તો આજે તેમની સંસદ સભ્યપદ પર કોઈ ખતરો ન હોત. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8(1) અને (2) મુજબ, જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય હત્યા, બળાત્કાર, ધર્મ, ભાષા અથવા પ્રદેશના આધારે દુશ્મનાવટ ઉભી કરે છે, તો તેનું સંસદનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. ઉપરાંત, આ જ અધિનિયમની કલમ 8(3) માં જોગવાઈ છે કે ધારાસભ્ય અથવા સંસદનું સભ્યપદ બે વર્ષની સજા થયા પછી જ રદ થઈ શકે છે. પરંતુ રાહુલ ગાંધીએ પોતાની જાતે પગમાં કુહાડી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે.
જે તે સમયે કેબિનેટ દ્વારા વટહુકમ પસાર કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિને તેમની સંમતિ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે United Progressive Alliance સરકારે વટહુકમ દ્વારા જાહેર પ્રતિનિધિત્વ બિલ, 2013 નિર્ણયને રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં વટહુકમને “સંપૂર્ણ બકવાસ” તરીકે ફગાવી દીધો હતો. જેની સજા તેઓ આજે ભોગવી રહ્યા છે તેવી લોકચર્ચા ઉઠી છે.
કોર્ટમાં હાજર થતાં અને સભ્ય પદેથી હટાવાતા રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
તારીખ 23ના રોજ કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં કોઈ સમુદાયને બદનામ કરવા માટે કોઈ નિવેદન આપ્યું નથી. મારો કોઈને નુકસાન કરવાનો ઈરાદો નહોતો. મારો હેતુ માત્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો હતો. જોકે કોર્ટે સજા ફટકાર્યા બાદ 24 કલાકમાં જ્યારે રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય પદેથી હટાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે 3 કલાક અને 20 સેકન્ડ બાદ ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી હતી કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું દરેક કિંમત ચૂકવવા તૈયાર છું.