Breaking News : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 9 કામદારોના મોત, 30 ઘાયલ
છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટ બાદ એક મોટી દુર્ઘટના બની. આ ઘટનામાં આશરે 30 કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આમાંથી નવ કામદારોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોની હાલત ગંભીર છે.

છત્તીસગઢના શક્તિ જિલ્લાના સિંઘીતરાય સ્થિત વેદાંતા પાવર પ્લાન્ટમાં આજે મંગળવારે બપોરે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે દુર દુર સુધી તેનો અવાજ સંભળાયો હતો. વેંદાતા પાવર પ્લાન્ટ પરિસરમાં બોઈલરમાં અચાનક વિસ્ફોટ થવાને કારણે અંધાધૂંધી અને ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં, લગભગ 30 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી 9 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. દરમિયાન, કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. બોયલર ફાટવાથી ઘાયલ થયેલાઓની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.
શક્તિ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) પ્રફુલ્લ ઠાકુરે, વેંદાતા પાવર પ્લાન્ટના 9 કામદારોના મોતની પુષ્ટિ કરી છે. ઘટના બાદ પ્લાન્ટ પરિસરમાં અંધાધૂંધીનો માહોલ છવાઈ ગયો હતો. રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સક્રિયપણે કાર્યરત છે. હાલમાં, અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
બોઈલર વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો
હકીકતમાં, અકસ્માત એટલો ગંભીર હતો કે, વિસ્ફોટનો અવાજ ઘણો દૂર સુધી સંભળાયો હતો. બોઈલર વિસ્ફોટ પછી, પ્લાન્ટ પરિસરમાં કામદારોમાં ભય ફેલાઈ ગયો હતો. લોકો અવાચક થઈ ગયા હતા. સમગ્ર પ્લાન્ટમાં વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે ઘટના સમયે ઘણા કામદારો સ્થળ પર ફરજ પર હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 20 કામદારોની હાલત ગંભીર છે. દરમિયાન, અત્યાર સુધીમાં સારવાર દરમિયાન 9 કામદારોના મોત થયા છે.
વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળ માટે રવાના
ઘટનાના સમાચાર મળતાં, શક્તિ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક સિંઘીતરાઈ જવા રવાના થયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્લાન્ટની અંદર બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની શંકા છે. છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
અકસ્માતના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી. જોકે, પ્રથમ દ્રષ્ટિએ, તે ટેકનિકલ ખામી અથવા સલામતી ધોરણોમાં ખામીને કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટની ઘટના પર ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યુ છે. સીએમ વિષ્ણુદેવ સાંઈએ જણાવ્યું કે આ એક દુ:ખદ ઘટના છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે.
