ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, 13 દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ કર્યું હતું લોકાર્પણ
રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ ટ્રેકને ડેટોનેટર વડે ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ રેલવેની (Railway) સિવિલ ટીમ ઘટનાસ્થળે પહોંચીને ટૂંક સમયમાં જ ટ્રેકને રીપેર કરવાની કામગીરી કરી રહી છે અને રેલવે ટ્રેક સંપૂર્ણ રીપેર થયા બાદ ટ્રેન ફરી શરૂ થશે.

રાજસ્થાનમાં ઉદયપુર-અમદાવાદના નવા રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરવાનો મામલો સામે આવ્યો છે. શનિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ ડિટોનેટર વડે વિસ્ફોટ કર્યો હતો, જે બાદ નજીકના વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો અને ઓઢા પુલ પાસેનો રેલવે ટ્રેક ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની માહિતી મળતા જ ATSની ટીમ, પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નોંધનીય છે કે આ ઘટના ઉદયપુર-અમદાવાદ રેલવે લાઇનના પુલ પર બની હતી જેનું લોકાર્પણ 13 દિવસ પહેલા 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. બદમાશોએ આખા પુલને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની યોજના બનાવી હતી.
ઘટના દરમિયાન સ્થાનિક લોકોએ પહેલા બ્રિજ પાસે જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો, ત્યારબાદ લોકો ત્યાં એકઠા થઈ ગયા. વિસ્ફોટ બાદ તપાસ એજન્સીને ઘટનાસ્થળે ગનપાઉડર પણ મળ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ બાદ પાટા પર તિરાડો પડી ગઈ છે. જો કે બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલા ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર ખાતે જ અટકાવી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાનું કહેવું છે કે બ્રિજને ડિટોનેટર વડે ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પોલીસ ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેશે.
વિસ્ફોટને કારણે રેલવે ટ્રેક પર તિરાડો પડી
ઘટના મુજબ ગામલોકોએ ગઈકાલે રાત્રે ઓઢા પુલ પર વિસ્ફોટનો જોરદાર અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ કેટલાક ગ્રામીણો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં રેલવે ટ્રેક પર તિરાડો જોવા મળી હતી અને ઘણા બોલ્ટ પણ ગાયબ જોવા મળ્યા હતા. આ પછી ગ્રામજનોએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી, જેના પછી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. હાલ પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ડીજી પોલીસએ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે.
ટ્રેનની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે
બીજી તરફ રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ ટ્રેકને ડેટોનેટર વડે ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ રેલવેની સિવિલ ટીમ ઘટનાસ્થળે પહોંચીને ટૂંક સમયમાં જ ટ્રેકને રીપેર કરવાની કામગીરી કરી રહી છે અને રેલવે ટ્રેક સંપૂર્ણ રીપેર થયા બાદ ટ્રેન ફરી શરૂ થશે. સાથે જ બોમ્બ સ્કવોડની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે અને તેની સાથે એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે.