બિલકિસ બાનો કેસ: આરોપીઓને મુક્ત કરવા પર SCની કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ, 2 અઠવાડિયા બાદ સુનાવણી
સુપ્રીમ કોર્ટે (Supreme Court) 2002ના ગોધરા રમખાણો દરમિયાન 14 લોકોની હત્યા અને મહિલાઓ પર સામૂહિક બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા 11 લોકોને નિર્દોષ જાહેર કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) બિલકિસ બાનોના કેસમાં (Bilkis Bano Case) દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ હતી. એડવોકેટ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા રમખાણો દરમિયાન 14 લોકોની હત્યા અને મહિલાઓ પર સામૂહિક બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા 11 લોકોને નિર્દોષ જાહેર કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.
અગાઉ, ગુજરાત સરકારે કહ્યું હતું કે ગુજરાતમાં 2002ના રમખાણોના બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને 2008માં દોષિત ઠેરવવામાં આવ્યા તે સમયે ગુજરાતમાં પ્રવર્તતી માફી નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે. આ માહિતી ગુજરાત સરકારના ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ 16 ઓગસ્ટે આપી હતી. તેમણે આ મામલે કેન્દ્ર સરકારના માર્ગદર્શિકાના ઉલ્લંઘનના દાવાને ફગાવી દીધા હતા.
2008માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ 11 લોકોને બિલકિસ બાનોના પરિવારના 7 સભ્યોના બળાત્કાર અને હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને માન્ય રાખી હતી. જ્યારે બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે તે 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. માર્યા ગયેલાઓમાં તેની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.
દોષિતોને 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા
આ વર્ષે જૂનમાં કેન્દ્ર સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને ધ્યાનમાં રાખીને કેદીઓને મુક્ત કરવા અંગે રાજ્યોને વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી. બળાત્કારના દોષિતો માટે અકાળે મુક્તિની કોઈ જોગવાઈ નહોતી. બિલકિસ બાનો ગેંગ રેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિત તમામ 11 લોકોને ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ હેઠળ માફી આપવામાં આવી હતી. બાદમાં 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
ન્યાય પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો: બિલકિસ બાનો
સરકારના આ પગલાની ટીકા કરતા બિલકિસે કહ્યું કે આટલો મોટો અને અન્યાયી નિર્ણય લેતા પહેલા કોઈએ તેમની સુરક્ષા વિશે પૂછ્યું ન હતું કે તેમના સ્વાસ્થ્ય વિશે વિચાર્યું ન હતું. તેમણે ગુજરાત સરકારને તેમાં ફેરફાર કરવા અને તેમને ડર્યા વિના શાંતિથી જીવવાનો અધિકાર આપવા જણાવ્યું હતું. બાનોએ કહ્યું હતું કે, દોષિઓની મુક્તિથી મારી શાંતિ ડહોળાઈ છે અને મેં ન્યાયમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.