બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, વિપક્ષનો સહયોગ માંગશે મોદી સરકાર
કેન્દ્ર સરકારે સંસદનું બજેટ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે આજે સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી ઔપચારિક બેઠક 30 જાન્યુઆરીએ સંસદ ભવનનાં એનેક્સી બિલ્ડીંગમાં બપોરે યોજાવાની છે.
કેન્દ્ર સરકારે આજે એટલે કે સંસદના બજેટ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ સર્વપક્ષીય બેઠક બપોરે સંસદભવનમાં યોજાશે. સર્વપક્ષીય બેઠકમાં સંસદ ગૃહના સુચારૂ સંચાલન અંગે ચર્ચા કરવામાં આવશે અને સરકાર આ સત્રમાં સહકાર માટે વિપક્ષની મદદ લેશે. બજેટ સત્રમાં રજૂ થનારા મહત્વના બિલોની માહિતી પણ વિપક્ષને આપવામાં આવશે. આ બેઠક સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ બોલાવી છે.
31 જાન્યુઆરીથી બજેટ સત્રનો થશે પ્રારંભ
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી એટલે કે 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભામાં સંયુક્ત સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. પ્રથમ દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વે પણ મૂકવામાં આવશે અને સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર આગામી 6 એપ્રિલ સુધી ચાલશે. જે દરમિયાન 66 દિવસમાં 27 બેઠકોનું કામકાજ થશે. સત્રનો પ્રથમ ભાગ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો ભાગ 13 માર્ચથી શરૂ થશે.
એનડીએની પણ યોજાશે બેઠક
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ 2023-24 એ 2024 લોકસભા ચૂંટણી પહેલાનું છેલ્લું પૂર્ણ બજેટ હોઈ શકે છે. સંસદ સત્રનો પ્રથમ ભાગ 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે, બજેટ સત્ર સાથે જોડાયેલા અન્ય એક સમાચાર પણ સામે આવી રહ્યા છે. સંસદ ભવનમાં આજે યોજાનારી સર્વપક્ષીય બેઠક બાદ, બીજી મોટી બેઠક થશે અને આ બેઠક NDAની હશે. જે બપોરે આશરે અઢી કલાકે સંસદભવનમાં જ યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં બજેટ સત્રમાં બિલની જાણકારી અને સંસદમાં નવી રણનીતિ પર ચર્ચા થશે. તેથી સરકાર સૌપ્રથમ બજેટ સત્રમાં તમામ પક્ષો સાથે ચર્ચા કરશે, આ બેઠકમાં વિપક્ષના રવૈયાની જાણ થશે અને તે મુજબ એનડીએ આ બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરશે.