ઘૂસણખોરી કરતા પકડાયેલા આતંકવાદીએ વેર્યા વટાણાં, ભારતમાં હુમલા માટે પાકિસ્તાને આપ્યા હતા રૂપિયા
Jammu Kashmir: પકડાયેલા આતંકવાદીએ કબૂલાત કરી છે કે તેને પાકિસ્તાની સેનાના કર્નલ દ્વારા રૂપિયા આપીને ભારતમાં આર્મી પોસ્ટ પર હુમલો કરવા મોકલવામાં આવ્યો હતો.
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓના ઘૂસણખોરીના (infiltration) બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. છેલ્લા 48 કલાકમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીના આ પ્રયાસો થયા હતા. આ દરમિયાન એક આતંકવાદીને (terrorist) સૈન્ય જવાનો દ્વારા જીવતો પકડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે આતંકવાદીઓ એલઓસી પર લેન્ડમાઈન બ્લાસ્ટમાં માર્યા ગયા છે. ધરપકડ કરાયેલા આતંકવાદીએ કબૂલ્યું છે કે તેને પાકિસ્તાની સેનાના એક કર્નલ દ્વારા 30 હજાર રૂપિયા આપીને ભારતમાં આર્મી પોસ્ટ પર હુમલો કરવા મોકલવામાં આવ્યો હતો.
ભારતીય સેનાના જવાનોને 21 ઓગસ્ટના રોજ વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસની જાણ થઈ હતી. ત્રણ આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આના પર સૈનિકોએ તત્પરતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
ત્રણ આતંકવાદીમાંથી એક ભારતીય ચોકી પાસે આવ્યો હતો. તે સરહદ પરના કાંટાળા તાર કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે સૈનિકોએ તેને પડકાર્યો તો તેણે ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો. જોકે ફાયરિંગમાં તે ઘાયલ થયો હતો. આ દરમિયાન અન્ય બે આતંકવાદીઓ ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘાયલ આતંકવાદીને તરત જ પકડી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આતંકવાદીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને તેની સધન પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ પહેલા રવિવારે ભારતીય સેનાએ નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરને ઠાર કર્યો હતો. ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની આતંકવાદી તબારક હુસૈન તરીકે થઈ હતી, પરંતુ ફરી એકવાર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને ભારતીય સેનાએ સમયસર નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સૈન્યના અધિકારીઓએ જણાવ્યું કે 22 અને 23 ઓગસ્ટની મધ્યરાત્રિએ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. બે ઘુસણખોરો માર્યા ગયા.